રાજકોટ,
રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂએ કાળો કહેર વર્તાવ્યો હોય તેમ અટકવાનું નામ લેતો નથી. દિન પ્રતિદિન રોગચાળો વકરતો જાય છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.
છેલ્લા 22 દિવસમાં 11 જેટલા દર્દીઓના મોત નિપજતા આરોગ્ય તંત્ર પણ વિમાસણમાં મુકાઇ ગયું છે. તો 75 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સ્વાઈન ફ્લુનો સૌથી વધુ ભોગ રાજકોટ જિલ્લાના દર્દીઓ બન્યા છે.
જેમાં 5 દર્દીઓના મોત થયા છે. જયારે 45 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.તો જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં 6 દર્દીઓ મોતને ભેટ્યા છે. જયારે 30 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
સ્વાઈન ફલૂ વધુ વકર્યો તેનું કારણ જામી રહેલો શિયાળો છે એમ જાણકારોનું માનવું છે અને સાથે સાથે ફ્લૂની બદલાયેલી પેટર્ન છે. હાલ રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 36 દર્દીઓ સારવાર લઇ રહેલા છે. જેમાં 7 દર્દીની હાલત નાજુક છે.
સરકારી તંત્ર ભલે દવાઓ કરે કે તંત્ર કાર્યરત છે. પરંતુ ચાલુ વર્ષે દર્દીઓના નિપજતા મોત અને સતત વધી રહેલા પોઝિટિવ દર્દીઓના આંકડા જ જણાવે છે. કે ફલૂ બેકાબુ બન્યો છે અને સ્થિતિ વધુ ઘેરી બની રહી છે.
જોકે ફલૂ વિષે વધુ જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવે તો લોકો સાવચેત બનીને ફ્લૂથી બચી શકે તેમ છે. હાલ તો સરકારી તંત્ર જન જાગૃતિ માટે માત્ર વિચાર જ કરી રહયાનું સામે આવ્યું છે.
