Ahmedabad News: હાલ રાજ્યભરમાં બહુચર્ચિત ખ્યાતી હોસ્પિટલ કૌભાંડને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના અંગે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે સમગ્ર ઘટના વિશે વાત કરી હતી.
આ અંગે તેમણે કહ્યું કે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જેમાં આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે તપાસ ચાલી રહી છે. ફરિયાદમાં વધુ કલમો ઉમેરવામાં આવી છે અને કડક કલમો ઉમેરવામાં આવી છે. ખ્યાતી હોસ્પિટલ કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસ વિભાગ આરોપીઓને કડક સજા કરાવવામાં વ્યસ્ત છે. બંને વિભાગો કોઈ છટકબારી ન રહે તે માટે કામ કરી રહ્યા છે
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં 19 દર્દીની એન્જિયોગ્રાફી કરી અને એમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે પૈકીના બે દર્દીનાં મોત નીપજતાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
ડૉ.પ્રશાંત વજીરાણી અને ડૉ.સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને CEO સહિતના લોકો સામે ગુનો નોંધાયો હતો. તપાસ કમિટીના રિપોર્ટના આધારે સોલા સિવિલના ઈન્ચાર્જ CDMO ડૉ.પ્રકાશ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હતું. એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાવવાનું કારણ દર્શાવ્યા વગર જ સર્જરી કરી હતી.
આ પણ વાંચો:આયુષ્માન યોજના જીવન સાથે રમત ન બને, ખ્યાતી હોસ્પિટલની ઘટના ડરાવે છે
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે
આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને પુરાવા રજૂ કરવા કરાયો આદેશ, મેડિકલ એસોસિએશને લખ્યો પત્ર
