કેન્દ્રીય પ્રધાનમંડળમાં નબળી કામગીરી સામે સંઘની ચિંતા બાદ બંગાળી ભાષા પર પ્રભુત્વ ધરાવનાર મહિલા નેતાને બંગાળ ભાજપના પ્રભારી બનાવવાનો વ્યૂહ
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામે આમા સાવ સફાચટ થનાર અને ખાતું પણ ન ખોલાવી શકનાર કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને જેટલા હચમચાવી નથી નાખ્યા એટલાં એનાં કરતાં વધુ પ્રમાણમાં ભાજપને અને તેના મોવડી મંડળને અને પ્રચારની આગેવાની સંભાળનાર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જાેડીને બરાબર હચમચાવી નાખી છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વ્ચે અથડામણ થઈ તેમાં ભાજપના ૬ અને ટીએમસીના પાંચ કાર્યકરો માર્યા ગયા. ભાજપના કાર્યાલયને સળગાવી દેવાનો પ્રયાસ પરિણામના દિવસે જ થયો. આમ છતાં આ બનાવને ખૂબ ચગાવાયો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ત્યાં પહોંચી ગયા. દેશભરમાં ભાજપે કોરોનાના કહેર વચ્ચે ધરણા કર્યા અને ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’ જેવી સ્થિતિનું સર્જન કરી હાસ્યાસ્પદ પણ બન્યો. આથી વિશેષ બીજું કશું બન્યું નથી. જેપી નડ્ડા આ હિંસાખોરીને મોદીની ધારણા મુજબ ચગાવી ન શક્યા એટલે મોદી બહુ ખુશ નથી. અધુરામાં પુરૂ હોય તેમ મમતા બેનરજીને ભીડવવા માટે જેટલા પગલાં ભરવા પ્રયાસ થયો થયો તે હાલના તબક્કે તો ઉંધા જ પડ્યા છે. આમાં કોઈ ધાર્યુ પરિણામ મળ્યું નથી.
જાે કે અધુરામાં પુરૂ હોય તેમ સુવેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાયા તે સામે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ સહિતના ઘણા નેતાઓ નારાજ છે. તે તો ઠીક પણ બે વર્ષ પહેલા ટીએમસી છોડીને ભાજપનો ખેસ પહેરનાર સાંસદ મુકુલ રોય પણ નારાજ છે. તેમાંય મુકુલ રોયના ચૂંટણીમાં પરાજિત થયેલા પુત્ર શુભાન રોયે જે મમતા બેનરજીના વખાણ કર્યા અને અધુરામાં પુરૂ હોય તેમ બિમારીના બિછાને પડેલા મુકુલ રોયના ખબર અંતર પૂછવા પણ ભાજપના નેતા ન ગયા. જ્યારે મમતા બેનરજીના ભત્રીજા અને હવે ટીએમસીના મહાસચિવ બનેલા સંસદસભ્ય અભિષેક બેનરજી ગયા. રોકાયા અને ચર્ચા પણ કરી. ત્યારબાદ મુકુલ રોય અને તેના સાથીઓ ટીએમસીમાં ઘરવાપસી કરે તેવી ચર્ચા શરૂ થઈ. જે અત્યારે પણ ચાલું છે. બંધ થઈ નથી તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ મુકુલ રોયને ફોન કરી વાત કરી તેમ છતાંય મુકુલ રોયના પુત્રે બીજીવાર મમતા બેનરજીના વખાણ કરતું નિવેદન કર્યું. ટીએમસીના ચૂંટાયેલા ઘણા ધારાસભ્યો પોતાનું ભાવિ જાેઈ ગયા છે. પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીને રાજ્યસભાના સભ્યપદ અને મોદીના પ્રધાનમંડળમાં હોદ્દો આપવાની જે ચોકલેટ આપવામાં આવેલી તે ગળી નથી અને જેપી નડ્ડા જેને કોટી પાર્ટમાં જાેડાયેલા સારા માણસ ગણે છે તે દિનેશ ત્રિવેદી સ્ટાર પ્રચારક તો નથી જ બનાવાયા પરંતુ અત્યારે રાજકીય રીતે સાવ અરણ્યવાસમાં ધકેલાઈ ગયા હોય તેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. આમાંથી દાખલો લઈ ભાજપમાં ભળેલા ટીએમસીના આગેવાનો પોતાના વિષે વિચારતા થઈ ગયા છે તે પણ હકિકત છે.
જ્યારે સુવેન્દુ અધિકારી પોતે ભલે નંદી ગ્રામમાંથી જીત્યા પણ નંદીગ્રામ આસપાસની ૨૫ બેઠકો પૈકી ૨૩ બેઠકો તો ટીએમસીએ જ અંકે કરી છે. મમતા દીદી પોતે નજીવી સરસાઈથી નંદીગ્રામમાં હાર્યા ભાજપના આસપાસના વિસ્તારોમાં ભાજપને ફાવવા દીધો નથી. શુવેન્દુના પિતા સાંસદ છે. તે નંદીગ્રામ વિસ્તારની એક સિવાયની બધી બેઠકો ટીએમસીને મળી છે. એટલે ભાજપના અને સંઘના નિષ્ઠાવાન નેતાઓને તો એવું કહેવાનો મોકો મળ્યો છે કે અધિકારી પરિવારનું વર્ચસ્વ માત્રને માત્ર ટીએમસીના કારણે હતું. પરિવારના હોદ્દાઓ સિવાય તેમના માટે કશું બચ્યું નથી.આમ છતાં વડાપ્રધાનની મહેરબાનીથી સુવેન્દુ અધિકારીએ બંગાળમાં પક્ષનું નેતાપદ તો મેળવ્યું પરંતુ આમ જનતાની જેમ હવે ભાજપના નિષ્ઠાવાનોની ટીકા-પ્રહારોનો ભોગ બની રહ્યા છે. તેથી જ તો તેમણે હિંસાખોરીનું ગાણું ચાલું રાખ્યું છે. આ સંજાેગો વચ્ચે હવે મોદીએ બંગાળમાં ફરી ગૃહમંત્રી અમિત શાહને સક્રિય કર્યા છે. બંગાળમાં છેલ્લા છ વર્ષથી પ્રભારી તરીકે ફરજ બજાવનાર મોદી શાહના વિશ્વાસુ નેતા કૈલાસ વિજય વર્ગીય હવે અન્ય કોઈ જવાબદારી સોંપવા અને બંગાળની જવાબદારીમાંથી મૂક્ત કરવા માગણી કરી છે.
હવે દિલ્હીના સૂત્રો જણાવે છે તે પ્રમાણે વડાપ્રધાન, મોદીએ આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું છે. બંગાળની ચૂંટણી દરમિયાન સ્ટાર પ્રચારક તરીકે સારી કામગીરી કરી હોવાની છાપ ધરાવનાર અને તેમને જે વિધાનસભા મતવિસ્તારો સોંપવામાં આવેલા તે ૧૮માં ભાજપને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર તેજાબી વક્તા એવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પશ્ચિમ બંગાળના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવા વિચારણા શરૂ થઈ છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની કેન્દ્રીય પ્રધાન તરીકેની કામગીરી અન્ય કેબીનેટ પ્રધાનોના પ્રમાણમાં નબળી હતી તેથી પ્રથમ ટર્મના બીજા અઢી વર્ષમાં તેમનું ખાતું બદલી નખાયું હતું અને ૨૦૧૯ બાદ સ્મૃતિ ઈરાનીને પ્રધાનપદું ન આપવાની વિચારણા શરૂ થઈ હતી. પરંતુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અમેઠીની બેઠક પર કોંગ્રેસના યુવરાજ એવા રાહુલ ગાંધીને કારમો પરાજય આપી જાયન્ટ કીલર તરીકે પૂરવાર થતાં તેમને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે પણ તેની કામગીરીથી મોદી પણ નારાજ છે. તેથી તેને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં પ્રભારી બનાવીને મમતા દીદીના સામના માટે પશ્ચિમ બંગાળ મોકલવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.
આનું કારણ એ અપાય છે કે સ્મૃતિ ઈરાની બંગાળી ભાષા સારી રીતે બોલી શકે છે. આ ચૂંટણી વખતે પણ તેમણે ભાજપના અન્ય ઘણા સ્ટાર પ્રચારકો કરતાં સારૂ બંગાળી બોલી બતાવ્યું હતું. તેઓ બંગાળના રીત-રિવાજ સારી રીતે જાણે છે. આ બધા જમા પાસાને ખ્યાલમાં રાખીને મમતા બેનરજી સામેની ભાજપની શક્તિશાળી મહિલા નેતા તરીકે ઉપસાવી ત્યાંનો હવાલો સોંપવા માગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજકીય દાવપેચના નિષ્ણાત છે તેથી કેન્દ્રીય પ્રધાનમંડળ માટે બોજ બની રહ્યા હોવાની સંઘના કેટલાક વરિષ્ઠ નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે તેને ધ્યાને લઈ મોદી શાહની જાેડી આવું કાંઈક વિચારે છે. જાે કે આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.
પરંતુ ઘણા રાજકીય નિરિક્ષકો કહે છે અને માને છે તે પ્રમાણે કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી ટાઢે પાણીએ ખસ કાઢવા માટેનો પ્રયોગ અમેઠીના સાંસદ પર થાય તો કોઈને આશ્ચર્ય નહિ થાય. જાે સ્મૃતિ ઈરાનીને બંગાળ ભાજપના પ્રભારી બનાવાય તો તેઓ વધુ અસરકારક પૂરવાર થશે તેવું માનીએ તો પણ મોદી એક કાંકરે બે પક્ષી મારવા માગે છે. કેન્દ્રીય પ્રધાન મંડળમાંથી નબળા દેખાવવાળા મંત્રીને વિદાય આપી સંઘને ખૂશ કરાસે અને મમતા દીદી સામે બંગાળી જાણનાર એક સારા નેતાને મેદાનમાં મૂકીને ભવિષ્ય માટે અને તેમાંય કાસ કરીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સફળતા મેળવવા માટેનો તખ્તો તૈયાર કરવાની વિચારણા પણ હોઈ શકે છે.