સુરત
રવિવારે પદ્માવત ફિલ્મને લઈને સુરતમાં થયેલી હીંસાના પગલે પોલીસ કમિશનર સતિષકુમાર શર્માએ જણાવ્યું હતું કે, તમામ વિરુધ્ધ આકરાં પગલાં લેવામાં આવશે.
અત્યાર સુધીમાં 23ની ધરપકડ કરવામાં આવી છે. અને આગામી સમયમાં શાંતિ ડહોળનારા તમામ વિરુધ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તમામ સંગઠનો સતિષ શર્માએ ચીમકી આપતાં કહ્યું હતુંકે, પોલીસ પાસે તમામ સત્તાઓ છે.
પોલીસ અત્યાર સુધી સંયમ જાળવીને બેઠી છે. તેનો અમુક લોકો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. પરંતુ આ વખતે પોલીસ દ્વારા જે કેસ કરવામાં આવ્યાં છે તેમાં માત્ર પથ્થર ફેંકનાર જ નહીં. તેને ઉશ્કેરનાર નેતા અને સંગઠનને પણ ઝડપી પાડવામાં આવશે. સાથે આગામી સમયમાં તેમના વિરુધ્ધ આકરા પગલાં લેવામાં આવશે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, તમામને શાંતિપૂર્વક વિરોધ કરવાનો હક છે.
લોકોને હેરાનગતિમાં મુકાવાનો કોઈને પણ અધિકાર નથી. રવિવારે સાંજે પાંચેક વાગ્યે પૂર્વાઆયોજીત રીતે અચાનક શહેરના વિવિધ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જે હીંસા કરી તેમાં એક સિટી બસના કાચ તોડવાની સાથે કતારગામ, કાપોદ્રા સહિતના ચારેક વિસ્તારમાં ટાયર સળગાવવામાં આવ્યાં હતાં.
સાથે ત્રણ પોલીસ અધિકારીઓને ધક્કે ચડાવાયાની વાત કમિશનરે કરી હતી.પોલીસ કમિશનર સતિશ શર્માએ તમામ સંગઠનો અને તેમના લીડરોને કહ્યું હતું કે, તેઓ સાવધાન થઈ જાય. પોલીસ હવે ચુપ બેસશે નહીં.
તેમની પાસે પુરતા પ્રમાણમાં સ્ટાફ અને હથિયારો છે. કોઈની ધાક ધમકીથી તેઓ તાબે નહીં થાય. કોઈને પણ શહેરની શાંતિ ભંગ કરવા દેવામાં આવશે નહીં. તમામ બાબતોની ઉંડાણપૂર્વક તપાસ કરાશે. તમામ લીડરો સાવધાન થઈ જાય કારણ કે પોલીસ હવે કોઈને પણ છોડશે નહીં.
