મોદી સરકારે ગુરુ પર્વ પહેલા શીખ સમુદાયના શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આપ્યા છે. ગુરુ પર્વને ધ્યાનમાં રાખીને મોદી સરકારે આવતીકાલે એટલે કે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે આ ખુશખબર આપતા કહ્યું છે કે મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને આનો લાભ મળશે. તેમણે કહ્યું કે આ નિર્ણય શ્રી ગુરુ નાનક દેવજી અને આપણા શીખ સમુદાય પ્રત્યે મોદી સરકારની અપાર આદર દર્શાવે છે.નોંધનીય છે કે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
પંજાબના ભાજપના નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને ગુરુદ્વારા કરતારપુર કોરિડોર ખોલવાની માંગ કરી હતી. પ્રતિનિધિમંડળે 19 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ પહેલા આ કોરિડોર ખોલવાની વિનંતી કરી હતી, જેથી શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં ગુરુદ્વારામાં જઈને પ્રાર્થના કરી શકે. પ્રદેશ અધ્યક્ષ અશ્વિની શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, મહાસચિવ તરુણ ચુગ અને દુષ્યંત ગૌતમ સહિતના એક ડઝન નેતાઓ ભાજપના પ્રતિનિધિમંડળમાં સામેલ હતા જે વડાપ્રધાનને મળ્યા હતા.જો કે આ કોરિડોર કોરોના મહામારીની શરૂઆતથી જ બંધ છે.
In a major decision, that will benefit large numbers of Sikh pilgrims, PM @Narendramodi govt has decided to re-open the Kartarpur Sahib Corridor from tomorrow, Nov 17.
This decision reflects the immense reverence of Modi govt towards Shri Guru Nanak Dev Ji and our Sikh community.— Amit Shah (@AmitShah) November 16, 2021
જો રાજકીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પંજાબની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આનો ફાયદો મળી શકે છે. તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરતાર કોરિડોર ફરીથી ખોલવાની અપીલ કરી હતી. તેમણે પીએમને શીખ ગુરુ નાનક દેવની જન્મજયંતિ અને પ્રકાશ પર્વને ધ્યાનમાં રાખીને આ મહિને કરતાર કોરિડોરને ફરીથી ખોલવાની વિનંતી કરી હતી. ગયા મહિને, મુખ્ય પ્રધાને પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને શ્રદ્ધાળુઓને ગુરુદ્વારાની મુલાકાત લેવાની મંજૂરી આપવા જણાવ્યું હતું.