મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન એ ત્યાગ,આદર્શ,સત્ય,પ્રેમ અને કરુણાનું પ્રતીક હતું. કરોડો લોકોની આસ્થા રઘુકૂળ શિરોમણી ભગવાન રામ સાથે જોડાયેલી છે. આમાં ત્યાગનું સાચું પ્રતીક ભગવાન રામ હતા.રામ ભગવાન વિષ્ણુનો અવતાર હતા છતાં તેમણે હમેશા માનવ સહજ દુઃખો અન્ય માનવીની જેમ જ સહન કર્યા છે.પિતાના વચન પાલન ખાતર ૧૪ વર્ષનો વનવાસ પણ રામે હસતા હસતા અને વનવાસ દરમિયાન ઋષિ મુનિઓ સાથે સત્સંગ કરવાનો લાભ મળશે તેવા હકારાત્મક અર્થ સાથે સ્વીકાર્યો હતો આવું વલણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ જ અપનાવી શકે,બીજું કોઈ નહિ.વનવાસ દરમિયાન રાવણ કુંભકર્ણ સહિત અનેક અસુરોનો વધ કરી તેમણે દેવો અને માનવોને આંસુરીવૃત્તિના ત્રાસથી મુક્ત કર્યા હતા.
ત્યાગ એ રામાયણના મોટા ભાગના વ્યક્તિત્વઓનું લક્ષણ છે.રામ,સીતા,ભરત,લક્ષમણ તો ત્યાગ અને ધર્મનું પ્રતીક છે.પરંતુ લક્ષમણના પત્ની ઊર્મિલાનો ત્યાગ પણ આ બધાથી જરાપણ ઉતરતો નથી.ભગવતી સીતાજીએ જેમ પત્ની ધર્મ નિભાવ્યો હતો તેવીજ રીતે તેમની નાની બહેન ઊર્મિલાએ પણ પોતાનો પત્ની ધર્મ બરાબર નિભાવ્યો હતો. રામાયણનું પ્રત્યેક વ્યક્તિત્વ ત્યાગ અને વચનપાલનનું અનોખું ઉદાહરણ પુરૂ પાડનાર હતું.આજના રાજકારણમાં સત્તાની સ્પર્ધા જોવા મળે છે,જ્યારે રામાયણમાં ત્યાગ ધર્મ અને વચનપાલનની હરીફાઈ જોવા મળી છે.રામાયણના દરેક વ્યક્તિવિશેષ વચનપાલનને પોતાના જીવન કરતા વધુ મહત્વ આપતા હતા.ભગવાન રામે શિવ ધનુષ્ય તોડી સીતાજી સાથે લગ્ન કર્યા.અયોધ્યા આવ્યા બાદ રાજ્યાભિષેકની તૈયારીઓ વચ્ચે વનમાં જવાનો વારો આવ્યો ત્યારે સીતાજીએ પણ સાથે જવાનું પસંદ કર્યું.પતિની સેવા માટે મીથીલેશ કુમારીએ રાજમહેલના સુખના બદલે વનના કાંટા પસંદ કર્યા.પતિવ્રતા સ્ત્રીશક્તિ પતિ માટે કેવો ભોગ આપી શકે તેનું ઉત્તમ ઉદાહરણ સીતાજી છે.એટલે તો સંતો કહે છે કે રામાયણની સીતા અને મહાભારતની ગીતાના આદર્શ અપનાવાય તો સમાજની ઘણી સમસ્યા હલ થઈ જાય.
ભગવાન રામેં આસુરી શક્તિનો નાશ કર્યો હતો.પણ આ જ મર્યાદા પુરુષોત્તમે અનેક યાતનાઓ વેઠી હતી.તેમના જીવનમાં તેમના પત્ની સીતાજીનો વિરહ પણ દુઃખદ પળો પૈકીની એક હતી.પ્રથમ વિરહ ચિત્રકૂટ ખાતે રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે વેઠવો પડયો હતો.ત્યાર બાદ રાવણ વધ સાથે સીતાજી સાથે મિલન થયું. રામ વનવાસ પૂરો કરી અયોધ્યા પરત આવ્યા. રાજ્યાભિષેક બાદ અયોધ્યામાં સાચા અર્થમાં રામ રાજ્યની સ્થાપના કરી.આ રામ રાજ્યમાં પ્રજાનો અવાજ સંભળાતો હતો. ભગવતી સીતાજી વિશે થતી ટીકાઓની રામે ગંભીરતાથી નોંધ લીધી.સીતાજીએ પણ પોતાની રીતે પોતાની થતી ટીકા વિષે વિગતો મેળવી.ત્યારબાદ સીતાજી એ વનગમન કર્યું.વનમાં લવકુશનો જન્મ થયો.પ્રસંગો પ્રમાણે લવ અને કુશે અયોધ્યાની સેનાને પરાક્રમ બતાવ્યું. પછીના પ્રસંગોમાં પણ રામે રાજધર્મનું પાલન કર્યું.સીતાજી પોતાની પવિત્રતા સાબિત કરવા ધરતીની ગોદમાં સમાઈ ગયા.આમ ભગવાન રામે પત્નીવીરહમાં જ લાંબો સમય પસાર કર્યો હતો.ભગવાનને પણ પત્નીનો વિરહ સહન કરવો પડ્યો આનું કારણ શું? આ પાછળ આપણા પુરાણોમાં બે કથા છે.
બન્ને કથા ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે. એક કથા એવી છે કે દેવતાઓને પરેશાન કરનાર બે દાનવોએ એક મહાન ઋષિના આશ્રમમાં આશરો લીધો.ઋષિ તપ કરવા ગયા હતા.ઋષિપત્નીએ શરણે આવેલાને આશરો આપવાના સંસ્કૃતિના નિયમોનું પાલન કરવા માટે આ કાર્ય કર્યું હતું.દેવતાઓએ ઘણું સમજાવ્યા પણ માન્યા નહીં. દેવતાઓ વિષ્ણુ પાસે ગયા.વિષ્ણુ પોતે આવ્યા. બન્ને અસુરોને સોંપી દેવા માગણી કરી.ઋષિપત્ની અડગ રહયા અને કથામાં જણાવ્યા પ્રમાણે દાનવોને ન સોંપ્યા.આથી ક્રોધીત થયેલા વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર ચલાવીને ઋષી પત્નીનો વધ કર્યો.ત્યારબાદ ઋષિએ ક્રોધમાં આવી શાપ આપ્યો કે મારા ભાગે જેમ પત્ની વિરહ આવ્યો છે તેમ તમારે પણ પત્નીનો વિરહ ભોગવવો પડશે.ભગવાન વિષ્ણુએ આ શાપ સ્વીકારી લીધો અને કહયું કે હું રામ અવતાર વખતે પત્નીનો વિરહ ભોગવી લઈશ. કથામાં જણાવ્યા પ્રમાણે રામ અવતાર વખતે સીતાજીના વિરહમાં જીવનનો લાંબો સમય પસાર કર્યો હતો.
બીજી કથા નારદજી સાથે સંકળાયેલી છે.નારદજીને લગ્નની ઈચ્છા થઈ અને એક સ્વયંવરમાં ભાગ લેવા ગયા.કથા કહે છે તે પ્રમાણે નારદજીનું મોઢું વાનર જેવું છે તેવું સૌને દેખાયું.આથી નારદજીના લગ્ન ન થયા.નારદજી સમજી ગયા કે આ લીલા વિષ્ણુ ભગવાનની જ છે.આથી ક્રોધમાં આવી ભગવાન વિષ્ણુને પત્ની વીરહનો શાપ આપવાની સાથે એમ પણ કહ્યું કે તમારે વાનર વિગેરેની મદદ લેવી પડશે. ભગવાન વિષ્ણુએ આ શાપ પણ સ્વીકારી લીધો.અને પોતાના સાતમા રામ અવતાર વખતે આ શાપ ભોગવશે તેમ જણાવ્યું.
આ બન્ને કથા આમતો લાંબી છે પણ તેનું દ્રષ્ટાંત ખાતર ટૂંકમાં રજૂ કરી છે.આ બે શાપના કારણે શાસ્ત્રો કહે છે તે પ્રમાણે પ્રથમ વખત દસ-અગિયાર માસના ટૂંકા સમય માટે સીતાજીનો વિરહ વેઠયો.જ્યારે બીજી વાર અયોધ્યાની પ્રજાના એક વર્ગે કરેલી ટીકાના પગલે રઘુકુળને કલંક લાગતું રોકવા સીતાજીએ વનવાસ વેઠયો.એટલુંજ નહિ પણ અશ્વમેઘ યજ્ઞ , લવકુશ સાથેનું યુધ્ધ અને અયોધ્યાના રાજદરબારમાં રામ કથાનું લવકુશે ગાન કર્યું.છેલ્લે પોતાનો પરિચય પણ આપ્યો.ભગવાન રામે સીતાજી શપથ લે તેવો આગ્રહ રાખતા સીતાજીએ પોતાની પવિત્રતા સાબિત કરવા ધરતીમાતાની ગોદમાં સમાઈ જવાનું પસંદ કર્યું.આમ ભગવાન વિષ્ણુ એ રામ અવતારમાં બન્ને શાપ ભોગવી લીધા.
ધર્મ / જાણો શા માટે કરોડો લોકો શ્રી કૃષ્ણમાં વિશ્વાસ કરે છે
હિન્દુ ધર્મ / શ્રી રામ અને શ્રી કૃષ્ણની યુદ્ધ નીતિમાં તફાવત
તાજેતરમાં ટી વી ચેનલો સ્ટાર ભારત અને દંગ લ ચેનલો પર છેલ્લા એક -દોઢ વર્ષથી અભૂતપૂર્વ લોકપ્રિયતા વચ્ચે દેખાડાઈ રહેલી રામાયણ ટી વી શ્રેણીમાં અન્ય પ્રસંગોની સાથે આ બન્ને કથાઓને પણ આવરી લેવામાં આવેલ છે. રામાયણ નિહાળી રહેલા લોકોની સંખ્યા તેમજ વિજ્ઞાપન દાતાઓની સંખ્યા પણ વધતી જાય છે.આ પણ એક વાસ્તવિકતા છે- હકીકત છે.