નવી દિલ્હીઃ સરકાર આધાર દ્વારા નાણાની લેવડ દેવડ થઇ શકે તેવી વ્યવસ્થા ટુંક સમયમાં શરૂ કરશે. આ વ્યવસ્થાના શરૂ થયા બાદ ફક્ત પોતાના અંગુઠાના આધારે તમે નાણાં ચુકવી શક્શો. સરકારે જાહેરાત કરી છે કે, દેશમાં આધાર ધારકોની સંખ્યા 111 કરોડ થઇ ગઇ છે.
12 સંખ્યાવાળા આધારને ગણતંત્ર દિવસના આગલા દિવસે મોટી સફળતા મળી હતી. જ્યારે આધાર નંબર 91 ટકાથી પણ વધુ જનસંખ્યા પાસે પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે, 18 વર્ષ કે તેનાથી વધુ ઉમરના લોકોને આધાર મળી ગયો છે.
આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, આધાર પેમન્ટ માટે લોકો પોતાનો ફોન હંમેશા સાથે રાખવાની જરૂર નહીં પડે. તે કોઈપણ દુકાને જઈને પોતાના આધાર નંબર શેર કરી શકે છે અને પેમેન્ટ કરી શકે અથવા નાણાં મેળવવા માટે બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરી શકે છે.
આધાર પેમેન્ટ માટે 14 બેંક સાથે આવી છે અને ટૂંકમં જ સેવા શરૂ થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે અન્ય બેંકની સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ. સેવા ટૂંકમાં જ શરૂ થઈ જશે.
મંત્રીએ એ પણ કહ્યું કે, યૂનિક પેમેન્ટ ઇન્ટરફેસ (યૂપીઆઈ)નો ઉપયોગ કરીને તાત્કાલીક પેમેન્ટ માટે ભારત ઇન્ટરફેસ ફોર મની (ભીમ)ને પણ આધાર પેમેન્ટ માટે લિંક કરવામાં આવ્યું છે.
26 જાન્યુઆરી 2017 સુધી દેશમાં 111 કરોડ લોકો પાસે આધાર નંબર પહોંચી ગયા છે. પ્રસાદને જણાવ્યું કે, સબસિડી માટે આધાર નંબરનો ઉપયોગ કરવાથી વિતેલા બે વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને 36,144 કરોડ રૂપિયાની બચત થઈ છે. દેશમાં 49 કરોડ બેંક ખાતા આધાર સાથે જોડાઈ ગયા છે. દર મહિને બે કરોડ ખાતા આધાર સાથે જોડાઈ રહ્યા છે.