Gandhinagar News: ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી જ તૂટી ગયો. તેમા બેથી ત્રણ લોકોના મોતની શંકા છે. 1986માં બનેલો આ બ્રિજ તો જોકે લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો. અનેક વખત રજૂઆત છતાં આ બ્રિજને રિપેર કરવામાં આવ્યો ન હતો. તેના પરિણામે આ ઘટના બની હતી.
ગુજરાતમાં બ્રિજ તૂટવો હવે જાણે નવી ઘટના રહી નથી. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં બ્રિજ તૂટી પડવાની 15 ઘટના બની છે. લોકો કદાચ આ વાત જાણતા પણ નહીં હોય, પરંતુ આ હકીકત છે. આ પહેલા બે વર્ષ પહેલાં જ 2023માં પાલનપુરમાં બનતો બ્રિજ તૂટ્યો હતો, તેમા ત્રણના મોત થયા હતા. ત્રણેય જણા સ્લેબ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હતા.
આ પહેલા 2021માં અમદાવાદમાં શાંતિપુરા મુમતપુરા બ્રિજમાં પણ આવી જ દુર્ઘટના બની હતી. મહેસાણા બાયપાસ પાસે પોદ્દાર સ્કૂલનો બ્રિજ તૂટી પડ્યો હતો. આ જ રીતે 2022માં રાજકોટમાં માધાપર ચોકડી પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135ના મોત થયા હતા.
તેની સાથે લુણાવાડામાં હાંડોડ, ભરૂચમાં નાંદેલાવ બ્રિજ તૂટી પડ્યો હતો. મહેસાણામાં ઊંઝા હાઇવે નજીક દુર્ઘટના સર્જાઈ હતી. આ ઉપરાંત વડોદરા સિંઘરોટ ખાતે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. 2023માં પણ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ તૂટી પડ્યો હતો. જૂનાગઢના ધાંધુસરમાં જર્જરિત પુલ તૂટી પડ્યો હતો. આ તો થઈ 2021થી અત્યાર સુધીની વાત, આ પહેલા પણ કેટલાય બ્રિજ ભ્રષ્ટાચારનો ભોગ બનીને તૂટી પડ્યા છે.
2020માં રાજકોટ જિલ્લાના આજીડેમ ચોકડી પાસે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. મહેસાણા જિલ્લામાં બાયપાસ ખાતે દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે 2019માં રાજકોટના સટોડક ગામમાં પુલ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત આ જ વર્ષે સુરતમાં પીપોક ફ્લાયઓવર બ્રિજ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. આ પ્રકારની દુર્ઘટના પછી ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના પગલે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે અને પ્રજાનું જીવન જોખમમાં મૂકાતું રહે છે. જો આકરી કાર્યવાહી કરવામાં આવે તો દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રોકી શકાય.
આ પણ વાંચો: જુનાગઢમાં ભારે વરસાદનાં કારણે પુલ તૂટ્યો, ઘણા લોકો થયા ઘાયલ
આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર
