Nepal plane crash: નેપાળમાં યતી એરલાઈન્સના વિમાન દુર્ઘટનામાં મંગળવારે વધુ બે મુસાફરોના મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને 71 થઈ ગયો છે. જો કે હજુ એક વ્યક્તિ ગુમ છે. સત્તાવાળાઓએ મૃતદેહોને સ્વજનોને સોંપવાનું શરૂ કરી દીધું છે. યતી એરલાઇન્સનું ATR-72 વિમાન રવિવારે પોખરાના નવા એરપોર્ટ પર લેન્ડિંગ વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એરક્રાફ્ટમાં 72 લોકો સવાર હતા, જેમાં ચાર ક્રૂ મેમ્બર અને પાંચ ભારતીય હતા. જેમાંથી 71 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અન્ય એકની શોધ ચાલુ છે.
નેપાળ આર્મીના સૂત્રોના જણાવ્યા (Nepal plane crash) અનુસાર એક વ્યક્તિ હજુ પણ ગુમ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સોમવારે રાત્રે અકસ્માત સ્થળેથી વધુ બે મૃતદેહો મળી આવ્યા બાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 71 થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. યતી એરલાઈન્સનું વિમાન કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રવિવારે સવારે 10.33 વાગ્યે ઊડ્યું હતું અને લેન્ડિંગની થોડી મિનિટો પહેલાં જ તે જૂના એરપોર્ટ અને પોખરાના નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે ક્રેશ થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પાંચેય ભારતીયો ઉત્તર પ્રદેશના હતા (Nepal plane crash) અને તેમની ઓળખ અભિષેક કુશવાહા (25), વિશાલ શર્મા (22), અનિલ કુમાર રાજભર (27), સોનુ જયસ્વાલ (35) અને સંજય જયસ્વાલ તરીકે કરવામાં આવી છે. યતિ એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાના જણાવ્યા અનુસાર, 71 મૃતદેહોમાંથી 22 મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ સંબંધીઓને સોંપવામાં આવી રહ્યા છે. 48 મૃતદેહો કાઠમંડુ લાવવામાં આવ્યા હતા.
નેપાળ આર્મીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર દ્વારા 48 શબને કાઠમંડુ લાવવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ઉત્તર પ્રદેશના ગાઝીપુરના ચાર લોકોના પરિવારજનો તેમના મૃતદેહ લેવા કાઠમંડુ પહોંચ્યા છે. એરક્રાફ્ટના કોકપિટ વોઈસ રેકોર્ડર અને ફ્લાઈટ ડેટા રેકોર્ડર બંને મળી આવ્યા છે.