Ahmedabad News/ અમદાવાદમાં SLBCની 188મી બેઠક યોજાઈ, બેંકર્સ સમિતિની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

અમદાવાદમાં SLBC ગુજરાતની 188મી બેઠક યોજાઈ. 91% સીડી રેશિયો અને 94% ધિરાણ લક્ષ્યાંક હાંસલ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરાઈ. ખેડૂતો અને મહિલાઓ માટે મોટા નિર્ણયો.

Top Stories Ahmedabad Gujarat
SLBC Gujarat 188th Meeting

SLBC Gujarat 188th Meeting: અમદાવાદ શહેરના આશ્રમ રોડ સ્થિત દેના લક્ષ્મી ભવન ખાતે 18 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિ (SLBC) ની 188મી બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બેંક ઓફ બરોડા દ્વારા આયોજિત આ બેઠકમાં રાજ્યના આર્થિક વિકાસ અને બેંકિંગ સેવાઓના વિસ્તરણ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

SLBC Gujarat 188th Meeting

SLBC ગુજરાતના ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક

આ બેઠકની અધ્યક્ષતા SLBC ગુજરાતના ચેરમેન અને બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લલિત ત્યાગી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના IAS અધિકારી અજય પ્રકાશ, RBI અમદાવાદના રિજીયોનલ ડાયરેક્ટર અમરેશ રંજન, નાબાર્ડના જીએમ નિધિ શર્મા સહિત વિવિધ બેંકોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની આર્થિક સ્થિતિના મહત્વના આંકડા

બેઠક દરમિયાન ગુજરાતની મજબૂત બેંકિંગ સ્થિતિના કેટલાક પ્રભાવશાળી આંકડા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્યનો સીડી (CD) રેશિયો 91 ટકાથી વધુ નોંધાયો છે, જે અર્થતંત્રમાં મજબૂત ધિરાણ વૃદ્ધિ દર્શાવે છે. વધુમાં, ધિરાણ લક્ષ્યાંકની વાત કરીએ તો, 31 ડિસેમ્બર 2025 સુધીમાં વાર્ષિક ધિરાણ યોજના (ACP) હેઠળ ગુજરાતે અગ્રતા ક્ષેત્રના નિર્ધારિત લક્ષ્યાંકનો 94 ટકા જેટલો મોટો હિસ્સો હાંસલ કરી લીધો છે, જે રાજ્યની આર્થિક પ્રગતિની ગતિ સૂચવે છે.

મહિલા સશક્તિકરણ અને કૃષિ ધિરાણ પર ભાર

બેઠકમાં વિવિધ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વના સૂચનો અને નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે મહિલા સંચાલિત આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે બેંકો અને સખી મંડળો (SHG) વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે. આ સાથે જ ખેડૂતોને ઔપચારિક ધિરાણ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થાય અને કૃષિ સંલગ્ન અન્ય પ્રવૃત્તિઓ માટે પણ ધિરાણનો વ્યાપ વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. નાણાકીય સાક્ષરતા અંગે ચર્ચા કરતા જણાવાયું હતું કે જે ગામડાઓમાં હજુ સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચી નથી, ત્યાં નિર્ધારિત સમય મર્યાદામાં સુવિધા પહોંચાડવામાં આવશે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમોને પણ વધુ તેજ બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

ડિજિટલ પેમેન્ટ અને સાયબર સુરક્ષા

ચેરમેન લલિત ત્યાગી દ્વારા ટકાઉ આર્થિક પ્રગતિ માટે મજબૂત સાયબર જોખમ સંચાલન અને કેન્દ્રીય બજેટના “કર્તવ્ય” સિદ્ધાંતો મુજબ કામ કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ (e-NWR) દ્વારા ધિરાણની તકો વિશે પણ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરો (LDMs) નું સન્માન કરવામાં આવ્યું હતું અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર અતુલ રાઠી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.


આ પણ વાંચો: RBI આપવા જઈ રહી છે સારા સમાચાર! નિષ્ણાતોએ કહ્યું- આ વખતે રેપો રેટમાં કેટલો ઘટાડો થશે?

આ પણ વાંચો: EMI વધુ કે ઓછું કેવી રીતે હોઈ શકે? રેપો રેટનું મૂલ્ય જાણો, બેંકો પાસેથી મળેલી લોન સાથે સીધો સંબંધ

આ પણ વાંચો: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, 6.50 ટકા દર અકબંધ, RBIએ તેનું વલણ બદલીને ‘તટસ્થ’ કર્યું