Sandeep Pathak FIR Update 2026: પંજાબમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) છોડીને હાલમાં જ ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક સામે પંજાબ પોલીસે સકંજો કસ્યો છે. પોલીસે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને મહિલા ઉત્પીડન જેવી ગંભીર અને બિનજામીનપાત્ર કલમો હેઠળ બે અલગ-અલગ જિલ્લામાં FIR દાખલ કરી છે.
શું છે સમગ્ર મામલો?
પક્ષપલટો અને કાર્યવાહી: સંદીપ પાઠક (Sandeep Pathak) એ 7 સાંસદોમાં સામેલ હતા જેમણે તાજેતરમાં કેજરીવાલનો સાથ છોડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. પંજાબમાં ભગવંત માન સરકારે વિશ્વાસ મત જીત્યાના બીજા જ દિવસે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગંભીર આરોપો: સૂત્રોના જણાવ્યા મુજબ, પાઠક સામે ભ્રષ્ટાચાર અને મહિલાઓના ઉત્પીડન સંબંધિત ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં ધરપકડની પૂરેપૂરી શક્યતા છે.
સંદીપ પાઠકનો પક્ષ: આ મામલે સંદીપ પાઠકે જણાવ્યું છે કે, “મને આવી કોઈ FIR ની જાણ નથી. આ માત્ર રાજકીય વેરની ભાવના છે. સરકાર મારાથી ડરી ગઈ છે એટલે આવી કાર્યવાહી કરી રહી છે.”
રાજ્યસભામાં ‘આપ’નું કદ ઘટ્યું (Sandeep Pathak)
તાજેતરમાં આમ આદમી પાર્ટીના 10 માંથી 6 રાજ્યસભા સાંસદો પક્ષ છોડીને ભાજપમાં ભળી ગયા છે. જેમાં સંદીપ પાઠક ઉપરાંત રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીનો સમાવેશ થાય છે. આ પક્ષપલટા બાદ ઉચ્ચ સદનમાં AAP ની સંખ્યા ઘટીને માત્ર 3 રહી ગઈ છે.
ભાજપનો આકરો પ્રહાર
ભાજપે આ કાર્યવાહીની આકરી નિંદા કરતા જણાવ્યું છે કે પંજાબમાં હવે કાયદાનું નહીં પણ રાજકીય બદલાનું શાસન ચાલી રહ્યું છે. જેવો કોઈ નેતા ભાજપમાં જોડાય છે કે તરત જ તેના પર જૂના કેસ ખોલીને કે નવી FIR કરીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

