Ahmedabad News: ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) સામાન્ય નાગરિકોના હકોને સુરક્ષિત કરતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ વ્યક્તિની ગુનામાં સીધી સંડોવણી સાબિત કર્યા વિના તેનું સમગ્ર બેન્ક ખાતું ફ્રીઝ કરી દેવું બંધારણીય અધિકારોના ભંગ સમાન છે. કોર્ટે જણાવ્યું કે તપાસ એજન્સીઓને ખાતા ફ્રીઝ કરવાની સત્તા છે, પરંતુ તેનો ઉપયોગ કાયદેસર, વાજબી અને વિવેકપૂર્ણ રીતે થવો જોઈએ.
જસ્ટિસ નિરલ આર. મહેતાની બેન્ચે નોંધ્યું કે માત્ર શંકાના આધારે અથવા મર્યાદિત રકમના વિવાદને કારણે સમગ્ર બેન્ક ખાતું બંધ કરી દેવું યોગ્ય નથી. આવા પગલાંથી નિર્દોષ નાગરિકોને પોતાના જ નાણાંનો ઉપયોગ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે.
Gujarat High Court: માત્ર 1100 રૂપિયાના વિવાદે આખું ખાતું ફ્રીઝ
કેસની વિગતો અનુસાર અરજદારનું ગાંધીનગરની ઇન્ફોસિટી સ્થિત HDFC બેન્કમાં સેવિંગ્સ એકાઉન્ટ છે. આ ખાતાનો ઉપયોગ તેઓ પગાર મેળવવા, ઘરખર્ચ ચલાવવા, મકાન ભાડું ચૂકવવા તેમજ લોનની EMI ભરવા માટે કરતા હતા.સાયબર ક્રાઇમ વિભાગને મળેલી બે ફરિયાદોના આધારે બેન્કે સમગ્ર ખાતા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તપાસ દરમિયાન અરજદારના ખાતામાં માત્ર 500 અને 600 રૂપિયાના બે ટ્રાન્ઝેક્શન મળી કુલ 1100 રૂપિયાની શંકાસ્પદ રકમ દર્શાવવામાં આવી હતી.
અરજદાર આરોપી પણ નહીં
કોર્ટ ((Gujarat High Court)) સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર કોઈપણ સાયબર ગુનામાં આરોપી કે શંકાસ્પદ વ્યક્તિ નથી. તેમ છતાં માત્ર 1100 રૂપિયાના ટ્રાન્ઝેક્શનને આધારે આખું ખાતું ફ્રીઝ કરાતા તેઓ પોતાની કાયદેસરની કમાણીનો ઉપયોગ કરી શકતા નહોતા.
હાઇકોર્ટનો વચગાળાનો માર્ગ
સુનાવણી દરમિયાન કોર્ટે ((Gujarat High Court)) નોંધ્યું કે તપાસમાં જે રકમ અંગે શંકા છે તે માત્ર 1100 રૂપિયા છે. તેથી આખું ખાતું ફ્રીઝ રાખવું ન્યાયસંગત નથી.કોર્ટે બેન્કને આદેશ આપ્યો કે માત્ર 1100 રૂપિયાની વિવાદિત રકમ જ હોલ્ડ પર રાખવામાં આવે અને બાકીની સમગ્ર રકમ તથા ખાતું અરજદારને સામાન્ય રીતે ચલાવવા દેવામાં આવે.
તપાસમાં સહકાર આપવાનો પણ આદેશ
કોર્ટે ખાતું ડી-ફ્રીઝ કરવાની સાથે અરજદારને સૂચના આપી છે કે જ્યારે પણ તપાસ એજન્સી દ્વારા જરૂર જણાય ત્યારે તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપે.
નિર્દોષ નાગરિકો માટે મોટી રાહત
કાયદાકીય નિષ્ણાતોના મતે આ ચુકાદો સાયબર ક્રાઇમ તપાસના નામે બિનજરૂરી રીતે ખાતા ફ્રીઝ થવાથી હેરાન થતા લોકો માટે મહત્વપૂર્ણ રાહત સમાન છે. હવે તપાસ એજન્સીઓએ ખાતું ફ્રીઝ કરતાં પહેલાં વ્યક્તિની સંડોવણી અને વિવાદિત રકમ અંગે યોગ્ય કારણો દર્શાવવા પડશે.ગુજરાત હાઇકોર્ટનો આ નિર્ણય નાગરિકોના આર્થિક અધિકારો અને ન્યાયસંગત પ્રક્રિયાના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવે છે.
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટનો ઝાટકો
આ પણ વાંચો:જૂનાગઢના વિવાદાસ્પદ ખંડણીના કેસમાં આરોપીની સજા જાળવી રાખતી ગુજરાત હાઇકોર્ટ
આ પણ વાંચો:ગુજરાત જાહેર સેવા આયોગ એકદમ હઠીલું અને ઘમંડીઃ ગુજરાત હાઇકોર્ટ
