Delhi News: દિલ્હીના અલીપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ વહેતી યમુના નદીમાં રવિવારે સાંજે બનેલી દુર્ઘટનામાં ન્હાવા ગયેલા પાંચ કિશોરોમાંથી ચાર કિશોર નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, એનડીઆરએફ, ફાયર વિભાગ અને અન્ય બચાવ એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી ચારેય કિશોરોના મૃતદેહ મળી આવ્યા નહોતા.
પોલીસના જણાવ્યા મુજબ રવિવારે સાંજે લગભગ 7:45 વાગ્યે અલીપુર પોલીસ સ્ટેશનમાં યમુના નદીમાં બાળકો ડૂબ્યાની માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઇબ્રાહિમપુર ગામના પાંચ નાબાલિક મિત્રો ઠોકર નંબર-24 પાસે યમુના નદીમાં ન્હાવા માટે ગયા હતા. ન્હાવા દરમિયાન રાહુલ, અંશુ, સૌરવ અને અમનદીપ નામના ચાર કિશોરો નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. જ્યારે સંતોષનો 14 વર્ષીય પુત્ર લકી કિનારે જ રહ્યો હતો. તેણે મદદ માટે બૂમો પાડી હતી.
લકીના અવાજ સાંભળીને નજીકના ખેતરોમાં કામ કરતા લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ચારેય કિશોરો નદીના તેજ પ્રવાહમાં તણાઈને લાપતા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં એનડીઆરએફ, ડીડીએમએ, ફાયર વિભાગ તેમજ સંબંધિત એસડીએમને જાણ કરવામાં આવી હતી. વિવિધ બચાવ દળો દ્વારા નદીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ બચાવ એજન્સીઓ સાથે સંકલન કરીને લાપતા કિશોરોની શોધખોળમાં જોડાયેલા છે.
પોલીસે જણાવ્યું છે કે મૃતદેહોની શોધખોળ ચાલુ છે. મૃતદેહો મળી આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ઘટનાની વધુ તપાસ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કરવામાં આવશે.
