રાજકોટ
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર લલિત વસોયાએ પાસમાંથી રાજીનામું આપ્યું હોવાનો સમાચાર ટીવી ચેનલોમાં પ્રસિધ્ધ થયા બાદ તેમણે ખુલાસો કર્યો હતો.લલિત વસોયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેમણે પાસમાંથી રાજીનામું આપ્યું નથી.
લલિત વસોયાએ કહ્યું હતું કે હું મારા સમાજ સાથે જોડાયેલો છું અને પાસની કોર ટીમ તથા સમાજના આગેવાનો કહેશે તે પ્રમાણે નિર્ણય લઇશ.
રવિવારે ટીવી મીડીયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે લલિત વસોયાએ પાસમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તે કોંગ્રેસમાંથી ધોરાજી સીટ પરથી ટીકીટ મેળવીને ચૂંટણી લડવાના છે. આ અંગે લલિત વસોયાએ જણાવ્યું હતું કે તેમની પહેલી પસંદ પાસ છે અને જો તેઓને પાસ અને કોંગ્રેસમાંથી પસંદ કરવાનું કહેવામાં આવે તો પાસ તેમની પહેલી પંસદ રહેશે.
લલિત વસોયાએ કહ્યું કે ટીકીટ મારા માટે ગૌણ છે અને હું સમાજ માટે લડતો રહીશ.
જો કે લલિત વસોયાએ ધોરાજીમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે ચૂંટણી લડવાની મારી 100 ટકાની ઇચ્છા છે,પરંતું પાસની કોર ટીમ અને મારા સમાજના શ્રેષ્ઠીઓ જે કહેશે તે પ્રમાણે કરીશ.
