વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી ગયેલા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સેન્ટ્રલ લંડન ખાતેની અંબા પટેલ ચેરીંગ હોટલ ખાતે રોકાયા હતા. જ્યાં આગ લાગતાં અને ગેસ ગળતર થતાં તેમને તાત્કાલિક અસરથી અન્ય હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિભાવરીબેન દવેનો સંપર્ક કરીને તેમના ખબર અંતર પૂછ્યાં હતાં. મહત્વનું છે કે સેન્ટ્રલ લંડન ખાતે વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સ તારીખ 21થી 25 સુધી યોજાયેલી છે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે ગયા હતા. આ કોન્ફરન્સમાં વિશ્વભરના શિક્ષણમંત્રીઓ શિક્ષણ પદ્ધતિ અંગે અભ્યાસ કરવાના છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાના કુલ 182 ધારાસભ્યોમાંથી 179 ઘારાસભ્યોએ મંગળવારે શપથ લીધા. જ્યારે ભાજપના ત્રણ ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતાં. મંત્રી વિભાવરીબેન દવે લંડન વિદેશ પ્રવાસે છે, જ્યારે જગદીશ પંચાલ આઉટ ઓફ સ્ટેટ છે અને પરષોત્તમ સોલંકીના ઘરે પ્રસંગ હોવાથી તેમણે શપથગ્રહણ કર્યા ન હતાં.
મળતી માહિતી પ્રમાણે, હોટલની આગમાં વિભાવરીબેન દવેના કેટલાક ડોક્યુમેન્ટ સળગી ગયા હોવાથી આ અંગેની નવી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમણે આ અંગે વાત કરી હતી. અને ત્યાર બાદ હાઇકમિશનરને જાણ કરીને તેમના ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.