વેરાવળ
વેરાવળમાં એક દલિત યુવકને તેની કાર સાથે જ જીવતો સળગાવી દેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. વેરાવળ-સોમનાથ રોડ પર આ ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને વેરાવળમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવની વિગત મુજબ વેરાવળના આંબલિયાળા ગામે રહેતો અને ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતો ભરત ઉકાભાઈ ગોહેલ નામનો દલિત યુવક ગઈ રાત્રે આશરે સવા નવ વાગ્યે વેરાવળમાં સોમનાથ રોડ પર આહિર સમાજની વાડી પાસે તેની કારમાં બેઠો હતો અને ઘર તરફ જવાની તૈયારી કરી રહ્યો હતો.
તે દરમિયાન જ ચાર જેટલા અજાણ્યા શખ્સોએ આવીને તેની કાર ઉપર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી..જેથી ભરત પોતાનો જીવ બચાવવા ભાગ્યો હતો. પરંતુ આ શખ્સોએ પેટ્રોલ ભરેલી બાટલી તેના ઉપર ફેંકીને તેને પણ જીવતો સળગાવી દીધો હતો. આગમાં લપેટાયેલા યુવકની ચીસો સાંભળીને આજુબાજુના લોકો દોડી આવતા ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે લોકોએ યુવકને બચાવી તેને સારવાર માટે વેરાવલની હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને તેના પરિવારજનોને જાણ કરી હતી. ત્યાર બાદ યુવકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અને પોલીસને જાણ કરાતા વેરાવળ પોલીસે રાજકોટ જઈ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.