નવી દિલ્હી
દેશની સરકારી બેંકોને ૩૬ હજાર કરોડથી વધુનો ચુનો લાગી ચુક્યો છે. આઈઆઈએમ બેંગ્લુરુ દ્વારા કરવામાં આવેલ એક સર્વે મુજબ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન બેંકો સાથે ૨૨,૩૭૪ કરોડની છેતરપીંડી થઈ છે. જેમાં તાજેતરમાં થયેલ કૌભાંડોનો આંકડો સામેલ કરવામાં આવે તો આ આંકડો ૩૬ હજાર કરોડને પાર પહોંચે છે.
કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે સંસદમાં આરબીઆઈના આંકડાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે ગત વર્ષે ૨૧ ડિસેમ્બર સુધી બેંકો સાથે ૨૫,૬૦૦ કરોડની છેતરપીંડી થઈ હોવાના કેસ સામે આવ્યા છે. આ આંકડો ૨૦૧૭ના પ્રથમ નવ મહિના સુધીનો જ છે. ત્યારે પીએનબી કૌભાંડ અને રોટોમેક્સ કૌભાંડ સામે આવ્યુ નહોતું. સપ્ટેમબર ૨૦૧૭ સુધીની સ્થિતિની વાત કરવામાં આવે તો આઈસીઆઈસીઆઈ બેંકમાં છેતરપીંડીના ૪૫૫ કેસ નોંધાયા છે. એસબીઆઈમાં ૪૨૯, એચડીએફસીમાં ૨૩૭, સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં ૨૪૪ કેસ નોંધાયા છે. આમ કુલ મળીને બેંક છેતરપીંડીના ૩૫૦૦થી વધુ કેસ નોંધાયા છે.
બેંકો સાથેની છેતરપીંડીમાં બેંક કર્મચારીઓ પણ સંડોવાયેલ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. સીબીઆઈએ ૨૦૧૧માં કરેલ એક ખુલાસામાં સામે આવ્યુ હતું કે, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, આઈડીબીઆઈ બેંકના કર્મચારીઓએ લગભગ ૧૦ હજાર ડમી એકાઉન્ટ ખોલી ૧૫૦૦૦ કરોડ રૂપિયાની લોન આ એકાઉન્ટના નામે પાસ કરી હતી. જેના કારણે બેંકોને કરોડોનો ચુનો લાગ્યો છે.
