અમદાવાદ,
અમદાવાદમાં છેલ્લાં કેટલાંક સમયથી ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં વધુ એક ગુનાની ઘટના બનતા શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં લુંટના ઇરાદે ફાયરીંગની ઘટના બની છે. ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર બાઈક પર આવેલા 4 જેટલાં શખસોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.ફાયરીંગમાં ઇજા પામનાર આંગડિયા પેઢીના કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું છે.
ફાયરિંગ કરનારા શખસો ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાત વિદ્યાપીઠ પાસે ચીમનલાલ પટેલ હરગોવિંદ નામની આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. આ ફાયરિંગમાં આંગડિયા પેઢીના કર્મચારી અરવિંદભાઈ પટેલ ઈજાગ્રસ્ત થયા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે સારવાર દરમિયાન અરવિંદભાઇનું મોત થયું હતું.
આંગડિયા પેઢીના કર્મચારી અમદાવાદથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો છે. લૂંટના ઈરાદે થયેલી ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા આંગડિયા પેઢીના કર્મચારી અરવિંદભાઇને સારવાર માટે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે ત્યાં તેમનું મોત થયું હતું.
પોલિસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે, આંગડિયા પેઢીના કર્મચારીઓ લાખો રૂપિયાના દાગીના અને બીજી ચીજો લઇને અમદાવાદથી પાલનપુર બાજુ જઇ રહ્યા હતા ત્યારે તેમની પર ફાયરીંગ થયું હતું.
ફાયરીંગ પછી પોલિસ, ફોરેન્સિકની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ શરુ કરી છે.
આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. કારણ કે આટલી વહેલી સવારે આંગડિયા પેઢીનો કર્મચારી રુપિયા લઈને જવાનો છે અને તે કયા રસ્તે જવાનો છે તેની જાણ હોવા સાથે લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
પોલીસ આરોપીઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના CCTV ફૂટજની પણ તપાસ શરૂ કરી છે અને નાકાબંધી કરીને આરોપીઓ શહેરની બહાર ન ભાગી જાય તે રીતે તપાસને તેજ બનાવવાની કોશિશો પોલીસ દ્વારા કરાઈ રહી છે.