આમતો અધિક માસ એટલે કે પુરષોત્તમ માસનું શાસ્ત્રોમાં ઘણો જ મહિમા છે. મહિલાઓ આ સમય દરમિયાન વ્રત તપ ઉપવાસ કરે છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી વિષ્ણુ નારાયણને રિઝવવા અથાગ પ્રયત્નો કરે છે. તે સાથે પોતાનું અને પોતાના પરિવારનું શુભ થાય તેવી કામના પણ કરે છે.
આપને જણાવી દઈએ કે પૂજા કરવા માટે મહિલાઓ પોરબંદરના દરિયાકાંઠ જવાનું પસંદ કરે છે અને ત્યાજ મહિલાઓ વિશેષ આરાધના કરતી જોવા મળે છે. ગુજરાતભરમાં એક વાત વિશેષ રીતે જોવા મળે છે તે એ છે કે સ્ત્રીઓ આ મહિનામાં કાંઠાગોરની પૂજા કરતી હોય છે.
અહિં જાણો કેમ કરાય છે કાંઠાગોરની પૂજા, અધિક માસમાં
આ મહિનામાં પૂજન માટે કાંઠાગોરની માટીની મૂર્તિ બનાવીને તેને એક કથરોટમાં કે પાટલા પર સ્થાપિત કરે છે. માટીમાંથી ગોરમા બનાવીને સ્થાપિત કરવામાં આવતા હોય છે. પછી તેને રોજ સવારે ઘરની બહાર લાવી. સખીઓ પડોશીઓ સાથે મળીને તેની રોજ સવારે પૂજા અર્ચના કરે છે. શણગાર કરીને ભક્તિભાવથી વંદના અને આરતી ઉતારે છે.
અધિકમાસમાં કાંઠાગોરનું આટલું મહત્વ કેમ છે
આ વિશે શાસ્ત્રોમાં ઉલ્લેખમાં જોવા મળે છે કે જેમાં ભગવાન શંકરની પત્ની એટલે કે પાર્વતીજી તેના માતા મેનાદેવી વિશેની વાત છે. જેમાં માતા મેનાદેવી તેમની પુત્રી પાર્વતીને પૂછ્યું કે હે પાર્વતી ! આખા જગતમાં તારી પૂજા થાય છે. અને હું તો તમને જન્મ દેનારી તમારી માતા છું, છતાં મારી પૂજા કેમ નહિ. ત્યારે પાર્વતીજીએ મેના માતાને જવાબ આપ્યો કે હે મા ! તમારી પૂજા થાશે ચોક્કસ થાશે. જ્યારે દર ત્રણ વર્ષે અધિક માસ આવશે ત્યારે મહિલાઓ તમારી ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક તમારી પૂજા કરશે. આ સમયમાં ઘરે તમારી સ્થાપના થશે પવિત્ર નદીઓ અને સમુદ્રમાં સ્નાન કરી અને મહિલાઓ તમારી પૂજા કરશે. તમારી પૂજા થકી અધિકમાસનું વ્રત કરશે. આથી આ સમયથી અધિકમાસમાં માતા મેનાદેવીની ગોરમા તરીકે પૂજા થાય છે.
સુદામા નગરી પોરબંદરમાં અધિકમાસનું વિશેષ મહત્વ છે. અહિં મહિલાઓ અધિકમાસની અગિયારસની રાત્રિએ, સુદામા મંદિરથી જુના પોરબંદરમાં આવતા તમામ મંદિરના દર્શન કરવા પગપાળા નીકળે છે. અને જ્યાં જ્યાં ચાર રસ્તા આવે ત્યાં એક ચોખાની ઢગલી કરી સુરજ અને સાથીયો કરે છે, અને એક પ્રગટ દીવો પ્રગટાવે છે. આ પાછળનું ધાર્મિક મહત્વ છે.
ચોખાથી સુરજ રાત્રીના બનાવે તો ક્યારે તેનો સુરજ ડૂબતો નથી, તેવી માન્યતા છે.
તેથી આ પ્રતિક બનાવવામાં આવે છે. ભગવાન સૂર્ય નારાયણ હમેંશા જિંદગીમાં ઉજાસ પાથરે, જીવન ઉજ્જવળતાથી ભરેલુ રહે તેવી છૂપી અભ્યર્થના આ પાછળ સમાયેલી છે. આ તમામ મહિલાઓ આખી રાત પોરબંદરમાં પગપાળા કરી અને જે કોઈ મંદિર રસ્તામાં આવે તે તમામ મંદિરના દર્શન કરે છે . જો અગિયારસના બીજા દિવસે વ્યતિપાત હોય તો, તે દિવસે સમુદ્ર સ્નાનનું અતિ મહત્વ હોય છે. સ્ત્રીઓ તે દિવસે સમુદ્ર સ્નાન કરી અને પોતાને ધન્ય અનુભવે છે આજના યુગમાં પણ મહિલાઓમાં આ પરંપરા કાયમ છે. આમતો પુરષોત્તમ માસમાં ભગવાન પુરષોત્તમની પૂજા થાય છે.
આમ છતાં મહિલાઓ કાંઠાગોરની પૂજા કરે છે. ગુજરાતના અનેક શહેરોમાં આ સમય દરમિયાન ભાગવત સપ્તાહ બેસાડવામાં આવે છે. આ રીતે ભગવાનનો મહિમા અને તેમના ઉપદેશને સાંભળી જીવનને સત્કર્મ તરફ વાળે છે. ભકતિભાવમાં મહિલાઓ ડૂબી જાય છે.