બેંગલુરુ,
કર્ણાટકના વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યાના મામલાની તપાસ કરી રહેલી SITને મોટી સફળતા મળી છે. પોલીસે ગૌરી લંકેશને ગોળી મારનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, “CCTV ફૂટેજના આધારે આ હત્યારાની ઓળખ થઇ છે. આ સાથે જ ગૌરી લંકેશ હત્યાના કેસમા આ ચોથી ધરપકડ છે.
પોલીસ દ્વારા ગોળી મારનાર પરશુરામ નામના વ્યક્તિને અવૈધ રીતે હથિયાર સપ્લાઈ કરવાના મામલે ધરપકડ કરી છે. જો કે ત્યારબાદ કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આ હત્યાના કેસ આરોપીની સંડોવણી બહાર આવી હતી.
પોલીસ દ્વારા આરોપી પરશુરામને કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેણે હાલ ૧૪ દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યો છે.
SITના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પરશુરામ એક અન્ય આરોપી સાથે બાઈક પર આવ્યો હતો. આ દરમિયાન આરોપી બાઈક ચલાવી રહ્યો હતો અને તેને ગૌરી લંકેશ પર ગોળી ચલાવી હતી. જો કે હજી બાઈક પર પાછળ બેઠેલા આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
ગૌરી લંકેશની હત્યાના મામલે હાલમાં સામે અઆવેલા ફોરેન્સિક રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો હતો. FSLના રિપોર્ટ મુજબ, ગૌરી લંકેશની હત્યામાં એ જ બંદૂકનો ઉપયોગ થયો હતો, જેનાથી કર્ણાટકના જ પ્રખ્યાત લેખક એમ એમ કલબુર્ગીની હત્યા કરવામાં આવી હતી.
FSLનાં આ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યામાં ૭.૬૫ MMની દેશી બંદૂકનો ઉપયોગ કરાયો હતો. આ પહેલા કર્ણાટક SIT દ્વારા ૨૧ મેના રોજ દાવનગિરી જિલ્લામાંથી અમોલ કાલે નામના આરોપીની ધરપકડ કરાઈ હતી.
મહત્વનું છે કે, ગત વર્ષે ૫ સપ્ટેમ્બરે બેંગ્લુરુ સ્થિત પત્રકાર ગૌરી લંકેશની પિસ્તોલથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ૩૦ મેના રોજ SIT દ્વારા ૬૦૦ પાનાની ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી, જેમાં ૧૦૦ લોકોના સાક્ષીના શામેલ છે.