નવી દિલ્હી,
ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી મેચમાં યજમાન ઈંગ્લેંડની ટીમનો ૮૬ રને વિજય થયો હતો. ત્રણ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચની શ્રેણીની બીજી મેચમાં જો રૂટની શાનદાર સદીના સહારે યજમાન ઇંગ્લેન્ડ ટીમે ભારતીય ટીમને હારનો સ્વાદ ચખાડ્યો હતો.
જો કે મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમ એસ ધોનીએ પોતાની ૩૭ રનની ઇનિંગ્સ દરમિયાન ૧૦,૦૦૦ હજાર રનના ક્લબમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ આ મેચમાં ધોનીએ ૫૯ બોલમાં રમેલી ૩૭ રનની ધીમી ઇનિંગ્સના કારણે ટ્રોલ પણ થવું પડ્યું હતું.

બીજી વન-ડે મેચમાં ધોનીને ૩૭ રન બનાવવા માટે ૫૯ બોલનો સામનો કર્યો હતો અને આ ઇનિંગ્સ દરમિયાન સ્ટ્રગલ કરતા પણ જોવા મળ્યા હતા. બીજી બાજુ કેપ્ટન કુલની ઓળખ દુનિયામાં એક સફળ મેચ ફિનીશર તરીકે થાય છે.
ત્યારે હવે આ મામલે ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગવાસ્કરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ગવાસ્કરે આ મામલે જણાવતા કહ્યું કે , “ભારતના પૂર્વ કેપ્ટન ધોનીનું આ સ્ટ્રગલે મને મારી પ્રખ્યાત ઇનિંગ્સની યાદ અપાવી છે જે મે આ જ મેદાનમાં રમી હતી”.

સુનિલ ગવાસ્કર આ ઇનિંગ્સ હતી સૌથી ધીમી
ઉલ્લેખનીય છે કે, સુનિલ ગવાસ્કરે ૪૩ વર્ષ પહેલા ૭ જૂન, ૧૯૭૫ના રોજ લોર્ડ્સમાં ઈંગ્લેંડ સામે રમાયેલી મેચમાં ૧૭૪ બોલમાં માત્ર ૩૭ રન બનાવ્યા હતા અને આ ઇનિંગ્સ ઇતિહાસની સૌથી ધીમી ઇનિંગ્સ હતી.
તેઓએ વધુમાં જણાવ્યું, “ભારતીય ટીમને વધુ ગભરાટનો માહોલ કેળવવાની જરૂરત નથી કારણ કે બેટિંગની સાથે બોલિંગ અને ફિલ્ડીંગમાં પાર્ટનરશીપ કરીને ગેમ બદલી શકે છે અને ઈંગ્લેંડ સામેની અંતિમ વન-ડે મેચ જીતીને સિરીઝ પર કબ્જો કરી શકે છે”.
વિરાટ કોહલીએ પણ કર્યું છે સમર્થન
મહત્વનું છે કે, આ પહેલા એમ એસ ધોનીને ક્રિકેટ ફ્રેન્ડસ દ્વારા ટ્રોલ કરાયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેઓનું સમર્થન કર્યું હતું. આ અંગે જણાવતા કોહલીએ કહ્યું,
ધોનીને મળનારી આલોચનાઓથી કોઈ પણ પ્રભાવિત થયા નથી. જયારે જયારે ધોની પોતાની ક્ષમતાથી ઓછું પ્રદર્શન કરે છે ત્યારે આ પ્રકારની વાતો થતી હોય છે. આ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો સીધા જ પરિણામ સુધી પહોચતા હોય છે.
