નવી દિલ્હી,
સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવેલા ભાગેડુ આર્થિક અપરાધી બીલ બાદ હવે સરકાર દ્વારા એક્શન પ્લાન લેવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ એક્શન પ્લાનના પ્રથમ પાર્ટમાં પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવી વિદેશમાં ભાગી જનાર નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુધ સમન્સ પાઠવવામાં આવ્યું છે.
કોર્ટ દ્વારા કૌભાંડીઓ સામે પાઠવવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે, ” નીરવ મોદી અને મેહુલ ચોકસીને આગામી ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવું પડશે”.
કોર્ટ દ્વારા આ આદેશ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પર કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ED દ્વારા આ બંને વિરુધ નવા ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ સખ્ત કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે.
મહત્વનું છે કે, ED હાલમાં જ PMLA કોર્ટમાં ગઈ હતી અને જ્યાં તેઓ દ્વારા નીરવ મોદી અને મેહુલ ચોકસીને ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ ૨૦૧૮ હેઠળ ભાગેડુ અપરાધી ઘોષિત કરવા તેમજ તેઓની ૩૫ અબજ રૂપિયાથી વધુ સંપત્તિ જપ્ત કરવા માટે અરજી દાખલ કરી છે.
કોર્ટ દ્વારા આપવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે, “નીરવ મોદીને ૨૫ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં રજુ થવું પડશે. જયારે મેહુલ ચોકસીને ૨૬ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં પહોચવું પડશે”.
આ બિલ પસાર થયા બાદ કૌભાંડીઓ સામે લેવામાં આવશે એક્શન
હવે આ અધ્યાદેશને મંજૂરી મળ્યા બાદ આ કાયદાની જોગવાઈ હેઠળ કૌભાંડીઓ સામે ગુનો નોધવામાં આવશે તેમજ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ રૂપિયાના કૌભાંડીઓ સામે તેઓની ધરપકડ કરવા માટે વોરંટ પણ બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત કૌભાંડીઓને તેમના આરોપો સાબિત થાય પહેલા જ હવે તેઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.
આ પહેલા વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી સહિતના કૌભાંડીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ગોટાળા બાદ તેઓ સામે ગત ૧૨ માર્ચના રોજ લોકસભામાં ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ ૨૦૧૮ (ભાગેડુ આર્થિક અપરાધી બિલ) રજુ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે હોબાળાના કારણે પસાર થઇ શક્યું ન હતું.