અમદાવાદ
રાજ્યના બહુચર્ચિત એવા વર્ષ ૨૦૦૪માં અંજામ અપાયેલા ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારી ડી જી વણઝારા અને એન કે અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી, તે અરજી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ કેસ અંગેની સુનાવણી સીબીઆઈના સ્પેશિયલ જજ જેકે પંડ્યા દ્વારા ગત ૩૦ જૂનના રોજ પૂરી કરવામાં આવી હતી.
આ પહેલાની સુનવણીમાં ડીજી વણઝારા અને એન કે અમીન સીબીઆઈ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેઓની સાથે પુર્વ પોલિસ અધિકારી તરુણ બારોટ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન તરૂણ બારોટે પણ આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી છે. જો કે કોર્ટ દ્રારા તરૂણ બારોટની અરજી પરનો ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો હતો.
મહત્વનુ છે કે CBIએ ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર વિરોધ વ્યક્ત કર્યો હતો. સીબીઆઈના વકીલે દલીલ કરી હતી કે, આ કેસમાં વણઝારાની પણ ભૂમિકા છે.
એક સાક્ષી દ્વારા ગવાહી પણ આપવામાં આવી હતી ,કે એન્કાઉન્ટર અગાઉ ઈશરતજહાં અને અન્ય 3 લોકોની જ્યાંથી અટકાયત થઈ હતી તે ફાર્મહાઉસ પર વણઝારા હાજર જોવા મળ્યા હતા. ત્યારે વણઝારાના એડવોકેટે દલીલ કરી હતી કે, કોઈ આરોપીને સાક્ષી બનાવીને તેને માફી આપવાનો હક ઈન્વેસ્ટીગેશન અધિકારીને નથી.
વર્ષ ૨૦૦૪માં થયું ઇશરત જહાં એન્કાઉન્ટર
આજથી લગભગ ૧૪ વર્ષ પહેલા ૧૫ જૂન, ૨૦૦૪ના રોજ અમદાવાદમાં ૧૯ વર્ષની ઇશરત જહાં, જાવેદ શેખ, અમઝદ અલી રાણા અને જીશાનને પોલીસે કથિત રીતે એન્કાઉન્ટરમાં માર્યા હતા. જો કે ત્યારબાદ ઇશરતના પરિવારે આ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું.
પોલીસનું કહેવું હતું કે, ઇશરત જહાં આતંકી પ્રવૃત્તિમાં જોડાયેલી હતી. જો કે ત્યારબાદ ઇશરત એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના ટોચના અધિકારીઓને જેલમાં જવું પડયું હતું અને આ કેસનો રેલો રાજનેતાઓ સુધી પણ પહોંચ્યો હતો.