નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) એટલે કે પેન્શન ચુકવણીનો આદેશ મળી જશે. આમ, હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્ત થયા બાદ પોતાનું પેન્શન મેળવવા અને તે માટેનો આદેશ જારી કરાવવા પેન્શન કચેરીના ચક્કરો કાપવા પડશે નહીં.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે તેમના નિવૃત્તિના દિવસે જ તેમના પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) મળી જાય તે માટે સરકાર દ્વારા એક સુગ્રથિત મિકેનિઝમ ગોઠવવામાં આવ્યું છે.
અખિલ ભારતીય પેન્શન અદાલતનું ઉદઘાટન કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી સૂચના આપી છે કે, પેન્શનધારકોની ફરિયાદના સમાધાન માટે તેમને અવરોધમુકત વહીવટી સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ ઉપરાંત જિતેન્દ્રસિંહે એમ પણ જણાવ્યું હતું કે, પેન્શન અદાલતો દ્વારા પેન્શનધારકોની ફરિયાદોનું સ્થળ પર જ સમાધાન અને નિરાકરણ લાવવામાં મદદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પેન્શનધારકોની સહાય માટે અનેક મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં નિવૃત્ત લોકોની સંખ્યા વધી રહી છે અને સકારાત્મક રીતે તેમની ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા પગલાં લેવાં જોઇએ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે છ પેન્શનધારકોને ‘અનુભવ પુરસ્કાર-ર૦૧૮’ એનાયત કરીને તેમનું અભિવાદન કર્યું હતું. ‘અનુભવ’ એક એવો મંચ છે કે જ્યાં નિવૃત્ત કર્મચારીઓ સરકાર સાથે પોતાના કાર્યના અનુભવને શેર કરે છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કેન્દ્રીય સરકારી પેન્શનધારકો માટે ‘ટકાઉ સુધારાનો યુગ’ નામની એક પુસ્તિકાનું પણ વિમોચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સક્રિય જીવનમાંથી સેવા નિવૃત્ત જીવનમાં પ્રવેશની પ્રક્રિયા અત્યંત સુચારુરૂપે સંપન્ન થવી જોઇએ.