હાઈપ્રોફાઈલ શીના બોરા હત્યાકાંડ માં જેલની સજા ભોગવી રહેલ પતિ-પત્ની પીટર મુખર્જી અને ઈન્દ્રાણીએ આખરે છૂટાછેડા માટેની અરજી દાખલ કરી દીધી. છૂટાછેડાની અવેજમાં ઈન્દ્રાણીએ પીટર પાસે ફર્નિચર, જ્વેલરી સહિત કેટલીક કિંમતી ચીજવસ્તુઓની માંગણી કરી છે.
હત્યાકાંડમાં ત્રણ વર્ષ પહેલા ઝડપાયેલ ઈન્દ્રાણીએ ભાયખલા મહિલા જેલથી આર્થર રોડ જેલમાં બંધ પીટરને ગત 13 ઓગસ્ટના રોજ બે પાનાનો પત્ર લખીને છૂટાછેડાની અવેજમાં આપવામાં આવનાર સામાનની યાદી સોંપી હતી. બન્નેએ મુંબઈના બીકેસી સ્થિત પારીવારીક કોર્ટમાં અરજી દાખલ કરી. આ બન્ને ક્યારેક એક ટીવી ચેનલના માલિક હતા અને હાઈ સોસાયટી સાથે તેઓના ઘણા સારા સંબંધો હતા.
ઈન્દ્રાણી ભાયખલાની મહિલા જેલથી અને પીટર આર્થર રોડ જેલથી કોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ સઘન કરવામાં આવ્યો હતો. મુખ્ય જજ શ્રીમતી એસએસ સાવંતને છૂટાછેડાના પેપર સોંપવામાં આવ્યા. આ બન્નેના સંબંધોમાં તે સમયે નાટકીય વળાંક આવ્યો, જ્યારે 2016માં પીટરે કોર્ટને જણાવ્યુ કે તે ઈન્દ્રાણી પાસે છૂટાછેડા લેવા માંગે છે.
એક વર્ષ બાદ ઈન્દ્રાણીએ કોર્ટને જણાવ્યુ કે, તે પણ છૂટાછેડા ઇચ્છે છે. ચાલુ વર્ષે એપ્રિલમાં ઈન્દ્રાણી એ પીટરને છૂટાછેડા માટે કાયદાકીય નોટીસ મોકલી એ આધારોને જણાવ્યુ જેનાથી તેમના સંબંધ ટૂટતા નજરે પડી રહ્યાં હતાં.