નવી દિલ્હી,
૪ ઓક્ટોબરથી ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ પહેલા ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. સિલેકશન કમિટી દ્વારા ૧૫ સભ્યોની ટીમમાં કરુણ નાયર, રોહિત શર્મા, શિખર ધવન જેવા ખેલાડીઓની બાદબાકી કરવામાં આવી છે, ત્યારે ટીમના આ સિલેકશનને લઈ ઓફ સ્પિનર હરભજન સિહે પસંદગી સમિતિના સભ્યો પર સવાલો ઉઠાવ્યા છે.
હરભજન સિહે જણાવ્યું હતું કે, “એમ કે પ્રસાદના નેતૃત્વવાળી સિલેકશન કમિટીને નેશનલ ટીમની પસંદગી અંગેના માપદંડની સમજણ નથી, કારણ કે આ માપદંડ તેઓની સમજણથી ઉપર છે”.

ભારતીય ટીમના દિગ્ગજ ઓફ સ્પિનરે કહ્યું, “આ એક એવું રહસ્ય છે જેને સુધારવા માટેની જરૂરત છે. ત્રણ મહિના સુધી બેંચ પર બેઠેલો ખેલાડી આ પ્રમાણે ખરાબ કઈ રીતે હોઈ શકે છે કે, તે ટીમમાં પોતાના સ્થાન માટે લાયક જ ન હોય”.
હરભજન સિંહે ટ્વિટ કરીને એશિયા કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના ટેસ્ટ ટીમમાં સમાવેશ ન કરવા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૦૦થી વધુ વિકેટ ઝડપનાર હરભજન સિંહે વધુમાં જણાવ્યું, “આ સત્ય માનવું જોઈએ કે, રાષ્ટ્રીય ટીમની પસંદગી માટે આ સિલેકશન કમિટી જે પ્રકારનો માપદંડ અપનાવી રહી છે તે અંગે મને તેઓની સમજણ પર સવાલો ઉભા થાય છે.
મહત્વનું છે કે, વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં પૃથ્વી શો, હનુમા વિહારી તેમજ મયંક અગ્રવાલ જેવા યુવાન ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જયારે ભારત માટે વીરેન્દ્ર સહેવાગ બાદ એકમાત્ર ટ્રિપલ સેન્ચ્યુરી બનાવનારા કરુણ નાયરનો સમાવેશ કરાયો નથી.
