યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. શનિવારે રાજધાની લખનઉમાં પાર્ટીની એક રેલીમાં એમણે કહ્યું કે, તેઓ ભાજપના ગુલામ બનીને નહિ રહે.
લખનઉના રામબાઈ મેદાનમાં આયોજિત રેલીમાં પહોંચેલા હજારો કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાજભરે ભાજપ સરકાર પર ખુબ પ્રહાર કર્યા. રાજભરે કહ્યું કે, મારુ દિલ તૂટી ગયું છે. ભાજપ હિસ્સો આપવા નથી માંગતું. જયારે પણ ગરીબના સવાલ પર હિસ્સાની વાત કરું છું, એ લોકો મંદિર-મસ્જિદ, હિન્દૂ-મુસલમાનની વાત કરે છે.
રાજીનામાની ચેતવણી આપતા રાજભર કહ્યું કે, હું સત્તા માટે નથી આવ્યો. ગરીબો માટે લડાઈ લડવા આવ્યો છું. એ લડાઈ લડુ કે ભાજપનો ગુલામ બનીને રહું ? આજ સુધી એક કાર્યાલય નથી આપ્યું. મેં તો મન બનાવ્યું કે, આજે આ મંચ પરથી ઘોષણા કરીશ કે હવે રાજીનામુ આપીને જ રહીશ.