ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી ફેરી સર્વિસનું જહાજ મધદરિયે અટક્યું છે. બુધવારે આ જહાજ અટકતાં તેમાં પ્રવાસ કરી રહેલાં 400 જેટલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જહાજ ઘોઘાથી 3 નોટિકલ માઇલ મધદરિયે ફસાયું છે, જો કે અધિકારીઓ દ્વારા તાત્કાલિક ટગ બોટ મગાવી જહાજને ઘોઘા બંદરે લઇ જવાના પ્રયાસો શરૂ કરાયા છે.
જહાજ બંધ પડતાં અલંગથી બે ટગ બોટ લાવીને યાત્રિકોને ઘોઘા લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ટેક્નિકલ ક્ષતિને કારણે જહાજ મધદરિયે બંધ પડ્યુ છે. દહેજથી ઘોઘા પરત ફરતા આ ઘટના બની છે.
જહાજ બંધ પડ્યું ત્યારે 400 મુસાફરો અને 95 જેટલા વાહનો જહાજમાં મુસાફરી કરી રહ્યાં હતા.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે આ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી.