જામનગર,
ટીમ ઇન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજા દિવાળીના દિવસે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.રવિન્દ્ર જાડેજા અને તેમના પત્નિની વડાપ્રધાન સાથેની મુલાકાત પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે રીવાબા ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. એવી પણ અટકળો વહેતી થઇ છે કે રીવાબાને ભાજપમાંથી લોકસભાની સીટ પરથી ચૂંટણી લડવા કહી શકાય છે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન રીવાબાને અચાનક કરણી સેનાના ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા હતા. એ સમયે રીવાબાએ ગુજરાતમાં મહિલા સશક્તિકરણથી લઇને મહિલાઓના હક્કોની વાત કરી હતી. રીવાબાનું અચાનક સામાજીક લેવલ પર સક્રિય થવું તે સુચક માનવામાં આવે છે. રીવાબા મુળ જામનગરના છે અને તેમનો પરિવાર ત્યાં રહે છે.
જામનગર જિલ્લામાં વિધાનસભામાં ચાર બેઠક કોંગ્રેસે ખૂંચવી લીધી હતી અને ત્રણ બેઠક ભાજપ પાસે છે. જો કે જામનગરના ભાજપના સાસંદ પુનમ માડમની ખ્યાતિ અકબંધ છે. છતાં ભાજપ એન્ટિ ઈન્કમબન્સી ટાળવા વધુ એક લોકપ્રિય મહિલા મેદાને આવી શકે છે. ગુજરાતમાં ભાજપ સરકારના અમુક નિર્ણયોથી ક્ષત્રિય સમાજમાં એક ખુણે નારાજગી જોવા મળી રહી છે, રીવાબાને ભાજપમાં જોડવાથી ક્ષત્રિય સમાજને પણ ભાજપ તરફી લાવવા પ્રયત્નો થઇ શકે.