સંજય મહંત, સુરત, મંતવ્ય ન્યુઝ
સુરતમાં એક પરિણીતા પોતાના ૨ સંતાનો સાથે આપઘાત કરવા પહોચી હતી. જો કે આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને આપઘાત કરવા જતી પરિણીતાને બચાવી લીધી હતી. પોલીસની પૂછપરછમાં જેઠાણીના ત્રાસના કારણે પરિણીતા આપઘાત કરવા જતી હોવાનું બહાર આવ્યું હતું.
બાળકો સાથે આપઘાત કરવા પહોચી મહિલા
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને સંતાનમાં બે પુત્રો છે. અને તેનો પતિ કાપડ વેપારી છે. અને તે સંયુક્ત પરિવારમાં રહે છે. બુધવારે તેનો પતિ ઘરે ન હતો ત્યારે તેણીએ પતિને ફોન કરીને સંતાનો સાથે મરવા જાઉું છું કહીને નીકળી ગઈ હતી. પત્નીના ફોન બાદ પતિએ આ મામલે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસ પણ પરિણીતાની શોધખોળમાં લાગી ગયી હતી. તે દરમ્યાન પોલીસને કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે એક મહિલા તેના બે બાળકો સાથે હોપપુલ નજીક ઉભી છે જેથી રાંદેર પોલીસ મથકની એક પી.સી.આર. વાન માત્ર ચાર જ મિનીટમાં ત્યાં પહોચી ગયી હતી. અને આપઘાત કરવા જતી પરિણીતાને બચાવી લીધી હતી.
જેઠાણીના ત્રાસના કારણે આપઘાત કરવા જતી હતી
પોલીસ પરિણીતાને રાંદેર પોલીસ મથક લઇ આવી હતી. જ્યાં તેણીના પતિને પણ બોલાવવામાં આવ્યો હતો. પોલીસ મથકમાં મહિલા પોલીસે પરિણીતાનું કાઉન્સિલ કર્યું હતું. જેમાં પરિણીતાએ જણાવ્યું હતું કે તે જેઠાણીના ત્રાસના કારણે આપઘાત કરવા પહોચી હતી. પોલીસ અધિકારીઓએ તેને સમજાવી તેનું કાઉન્સેલિંગ કરીને ભવિષ્યમાં કોઈ સમસ્યા હોય તો પોલીસની મદદ લેવાનું કહી પતિ સાથે ઘરે રવાના કરી હતી.