ગાંધીનગર,
ગયા વર્ષે ચોમાસાની સીઝનમાં ઓછો વરસાદ થયો હોવાને કારણે રાજ્યના અનેક જીલ્લાઓમાં પાણીની અછત ઉભી થઇ છે.રાજ્યમાં આ વર્ષે વરસાદની અછત અને સિંચાઇના પાણીના અભાવના કારણે 16 જિલ્લાના કુલ 96 તાલુકાના 27.86 લાખ હેક્ટર વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરાયો છે.
રાજ્યના અનેક ખેડુતોના પાક પાણી વગર સુકાયા છે અને લાખો ખેડુતોએ સરકાર પાસે સહાય માટે અરજી કરી છે.રાજ્યના 16,82,725 ખેડુતોએ રાજ્ય સરકારને અરજી કરીને સહાય માંગી છે.રૂપાણી સરકારે ખેડૂતોને હેક્ટર દીઠ 5,300 થી લઇને 6,300 સુધીની રકમ સહાયપેટે ચૂકવવાનો નિર્ણય લીધો હતો.રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 6,60,412 ખેડૂતોને 64 લાખ જેટલી રકમ સહાયપેટે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઇ હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં 27.86 લાખ હેક્ટર વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરાયો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 4.92 લાખ હેક્ટર વિસ્તાર અછતગ્રસ્ત છે.બનાસકાંઠામાં આ સીઝનમાં સૌથી ઔછો વરસાદ થયો છે જેના કારણે ખેડૂત સહાય માટે બનાસરકાંઠા જિલ્લામાંથી સૌથી વધુ ૨.૮૭ લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧.૬૦ લાખ ખેડૂતોને સહાયનું ચૂકવણું થઇ ગયાનું જાણવા મળે છે.
બીજા ક્રમે રાજકોટમાંથી 1.77 લાખ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે. જેમાંથી 1.20 લાખ જેટલા ખેડૂતોને સહાય ચૂકવાઇ ગઇ છે. રાજ્યભરમાં હાલમાં ખેડૂત સહાયની રકમની ચૂકવણીની કાર્યવાહી ચાલી રહી છે.
આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી અઠવાડીયા સુધીમાં તમામ 16.82 લાખ ખેડૂતોને 2,35,915 લાખ રૂપિયાની રકમની સહાય ચૂકવી દેવાશે. ખેડૂતોને તેમની સહાયની રકમ તેમના બેંક ખાતમાં સીધી જ જમા કરાશે.
નોંધપાત્ર છેકે છેલ્લી ત્રણ સિઝન ખેતી માટે પ્રતિકૂળ સાબિત થઇ છે. ઉનાળામાં નર્મદાનું પાણી ઓછું હોવાથી તેને પીવાના પાણી માટે રિઝર્વ રાખવામાં આવતા સિંચાઇ માટે તેને ફાળવાયું નહોતું. સરકારે જાતે ખેડૂતોને ગત ઉનાળું વાવેતર ન કરવાની સલાહ પણ આપી હતી. દુકાળમાં અધિક માસ સમાન આ વર્ષે ચોમાસામાં વરસાદની પણ ભારે અછત જોવા મળતા ચોમાસામાં પણ ખેડૂતો પાક લઇ શક્યા નહોતા.