જમ્મુ-કાશ્મીર,
જમ્મુ-કાશ્મીરમાં હાઇવે પર બનિહાલ પાસે એક કારમાં વિસ્ફોટ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ આ દુર્ઘટના બનિહાલથી 8 કિલોમીટરના અંતરે આવેલ જવાહર સુંરગ પાસે બની હતી. આ વિસ્ફોટ જે સેન્ટ્રો કારમાં થયો તેની પાસેથી જ સુરક્ષા દળનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આ વિસ્ફોટ કારમાં રાખવામાં આવેલ સિલિન્ડરને કારણે થયો હતો. જો કે બાદમાં સીઆરપીએફે જે નિવેદન આપ્યું છે તેમાં સિલિન્ડર બ્લાસ્ટની વાતને પુષ્ટિ નથી મળી.
આ દુર્ઘટના બની ત્યારે સીઆરપીએફનો 40 થી 45 વાહનોનો કાફલો હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. આ કાફલામાં અંદાજે 1500 જેટલા જવાનો ઉપસ્થિત હતા. વિસ્ફોટ બાદ હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટને કારણે સીઆરપીએફના બે ત્રણ વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા અને સીઆરપીએફની એક બસને સામાન્ય નુકસાન થયું છે, જો કે આ વિસ્ફોટમાં સીઆરપીએફના જવાન કે કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી. હાલ તો પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

કારનો ડ્રાઇવર ગાયબ હોવાથી તપાસ એજન્સીની શંકામાં વધારો
જ્યારે CRPF ના જવાનોનો કાફલો પસાર થઇ રહ્યો હતો. જેવો કાફલો નજીક આવ્યો તેવી જ આ કાર બસ સાથે અથડાઇ અને જોરદાર વિસ્ફોટ થયો હતો. કાફલાની બસને સામાન્ય નુકસાન થયું હતું અને બસના કાચ તૂટ્યા હતા. જો કે આ વિસ્ફોટ સમયે કાર ડ્રાઇવર હાજર જ ન હતો જેથી સુરક્ષા એજન્સીઓની શંકામાં વધારો થયો છે અને ડ્રાઇવરની શોધખાળ હાથ ધરવામાં આવી છે.
ડ્રાઇવર ગાયબ હોવાને કારણે આ એક અકસ્માત જ હતો કે પછી કોઇ ષડયંત્ર? એ અંગેની શંકાઓ વધુ ઘેરી બની છે. જણાવી દઇએ કે ગત 14 ફેબ્રુઆરીનો રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ઘાતક હુમલો થયો હતો. જેમાં RDXથી ભરેલી કાર સેનાના કાફલા સાથે અથડાઈ હતી. આ હુમલામાં ભારતીય સેનાના 40 જવાનો શહીદ થયા હતા. પુલવામાં આતંકી હુમલા બાદ ફરીથી આ પ્રકારનો વિસ્ફોટ કેવી રીતે સર્જાયો? તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાલ તો સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય થઇ ગઇ છે અને તપાસ એજન્સીઓ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
