ઇટાનગર,
અરૂણાચલપ્રદેશના પાસીઘાટમાં એક રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર બરાબરનું આડે લેતા તેને બકવાસ પત્ર ગણાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે એકબાજુ ઇરાદાવાળી સરકાર તો બીજીબાજુ જુઠ્ઠા વચનો આપતા નામદાર છે. તેમના ઘોષણાપત્ર પણ જુઠ્ઠાણાથી ભરેલા હોય છે, તેને ઘોષણાપત્ર નહીં ઢકોસલા પત્ર કહેવું જોઇએ. આ સાથે જ પીએમ મોદીએ પાસીઘાટની રેલીમાં લોકોને પૂછયું કે શું તમે આ ચોકીદારથી ખુશ છો? પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી સંકલ્પ અને ષડયંત્ર, ભ્રષ્ટાચાર અને ભરોસાની વચ્ચેની ચૂંટણી છે. તમારી પરંપરા, પરિધાનનું સમ્માન કરનારાઓ અને અપમાન કરનારાઓની વચ્ચે આ ચૂંટણી થવી જોઇએ.
કોંગ્રેસ દેશની સાથે છે કે પછી દેશદ્રોહીઓની?
કોંગ્રેસના ઘોષણાપત્રમાં રાજદ્રોહના ગુનાના દાયરામાંથી બહાર કરવાના વચન પર પીએમ નરેન્દ્ર મોદીએ આકરા પ્રહારો કર્યા છે. અરૂણાચલપ્રદેશના પાસીઘાટમાં એક રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ દેશની સાથે છે કે પછી દેશદ્રોહીઓની સાથે છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે દેશને ગાળો આપવા માટે પણ એક યોજના બનાવી છે. ભારત તેરે ટુકડે હોંગેના નારા લગાવનાર, તિરંગા સળગાવનાર, અને આંબેડકરની મૂર્તિઓ તોડનારા પાસેથી પણ કોંગ્રેસને સહાનુભૂતિ છે. ભારતના સંવિધાનને ના માનનારાઓને પણ બચાવાનું વચન કોંગ્રેસે આપ્યું છે.