પટણા,
બિહારમાં ચીફ મિનિસ્ટર નીતીશ કુમારે એક મહત્વનો.નિર્ણય લેતા તેમના રાજ્યમાં સંતાનો માટે માતાપિતાની સેવા કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જે સંતાનો આમ નહીં કરે તેણે જેલમાં જવું પડશે.નીતીશ કુમારની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે માતા-પિતાની સેવા કરવી સંતાનો માટે ફરજિયાત છે. રાજ્યમાં માતા-પિતાની ફરિયાદ પર સેવા ન કરનાર સંતાનોને હવે જેલની સજા ફટકારવામાં આવી શકે છે.
દારૂબંધી અને દહેજબંધી પછી મુખ્યમંત્રી નીતીશકુમારે સામાજિક કુરિવાજો દૂર કરવા માટે આ મોટો નિર્ણય લીધાનું માનવામાં આવે છે.અનેક મહત્વપૂર્ણ નિર્ણયો સાથે કેબિનેટ બેઠકમાં સત્તર એજન્ડાને પણ સ્વીકૃતિ આપવામાં આવી હતી. આ સાથે જ બિહાર કેબિનેટે મુખ્યમંત્રી વૃદ્ધા પેન્શન યોજનાને રાઇટ ટુ સર્વિસ એક્ટ હેઠળ લાવવાનો પણ નિર્ણય કર્યો છે.
નીતીશકુમારની કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય એ પણ લેવામાં આવેલ છે કે કાશ્મીરના પુલવામાં અને કુપવાડામાં આતંકી હુમલામાં શહીદ થયેલ બિહારના જવાનોના પરિવારજનોને સરકારી નોકરી આપવામાં આવશે. ઉપરાંત ભાગલપુરમાં ગંગા નદી ઉપર એક વધુ વિશાળ પુલનું નિર્માણ કરવાનું જાહેર થયું છે. આ પુલ વિક્રમશીલા સેતુની બરાબર સમાનાંતર બનાવવામાં આવશે.
