ગત ૧૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સાબરમતી ખાતે હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના ભૂમિપૂજન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર રાત્રે વધુ એક વાર ગુજરાતની મુલાકાતે પહોચશે. અમદાવાદ પહોચ્યા બાદ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. રવિવારે તેમના ત્રણથી ચાર પ્રોજેક્ટોના કાર્યક્રમો હોવાથી તેઓ ફરીવાર ગુજરાતમાં આવી રહ્યાં છે.

૧૭ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીનો જન્મદિવસ છે તેથી તેઓ ગાંધીનગર સ્તિથ નિવાસસ્થાને માતા હીરાબાને મળશે અને માતૃશ્રીને પગે લાગી આશીર્વાદ મેળવશે. ત્યારબાદ તેઓ ૯ વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર દ્વારા નર્મદા ડેમ કેવડીયા ખાતે જશે જ્યાં વિધિવત્ રીતે તેઓ રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમનું લોકાર્પણ કરશે. લગભગ ૧૦-૩૦ની પીએમ મોદી ડભોઈ જશે જ્યાં જાહેર સભાને સંબોધન કરશે.

જાહેર સભા બાદ ડભોઈથી હેલિકોપ્ટરમાં જ સીધા અમરેલી જવા રવાના થશે. અમરેલીમાં APMC , માર્કેટ યાર્ડનું તેઓ ઉદ્ધાટન કરશે તેમજ અન્ય એક ડેરીના કાર્યક્રમમાં પણ જશે. PM મોદી અમરેલીમાં પણ જાહેર સભાને સંબોધન કરશે ત્યાર બાદ સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ અમદાવાદથી ખાસ વિમાન દ્વારા જ નવી દિલ્હી જવા રવાના થશે.
