વડોદરાના કલ્યાણનગરના લાભાર્થીઓએ કલ્યાણનગરમાં આવાસના મકાનો આપવાની માંગ સાથે સુરસાગર તળાવમાં સામૂહિક આત્મવિલોપનની કોશિશ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. લાભાર્થીઓએ એક દિવસ પહેલા જ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. છતાં લાભાર્થીઓ આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા.
કલ્યાણનગર ખાતે પાલિકાએ વર્ષ 2014માં મકાનો તોડી પાડયા હતા. ત્યારબાદથી પાંચ વર્ષ બાદ પણ લાભાર્થીઓને મકાન ફાળવવામાં ન આવતાં લાભાર્થીઓની ધીરજ ખૂટી છે. લાભાર્થીઓને એક દિવસ પહેલા જ સુરસાગર તળાવમાં સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જેના પગલે સુરસાગર તળાવ પર પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. બંદોબસ્ત હોવા છતાં મહિલા લાભાર્થીઓ સુરસાગર તળાવ ખાતે આત્મવિલોપન કરવા પહોંચી. આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલાં જ પોલીસે મહિલાઓને અટકાવી હતી. પોલીસ અને મહિલાઓ વચ્ચે ખેંચતાણ પણ થઈ.
એક મહિલા તો રેલીંગ કૂદી તળાવમાં કૂદવાનો પ્રયાસ પણ કર્યો પણ પોલીસે મહિલાને પકડી લીધી. લાભાર્થીઓના સામૂહિક આત્મવિલોપનના પગલાંને લઈ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
ફાયર બ્રિગેડના જવાનો સુરસાગર તળાવમાં બોટ લઈ પેટ્રોલિંગ કરતા પણ નજરે પડ્યા. પોલીસે 15 જેટલી મહિલાઓની અટકાયત કરી હતી.
મહત્વની વાત છે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર લાભાર્થીઓને પાલિકાએ પ્રતાપનગર ખાતે મકાન ફાળવી દીધા છે. પરંતુ લાભાર્થીઓની માંગ છે કે મકાન કલ્યાણ નગર ખાતે જ ફાળવવામાં આવે. 50 જેટલા પરિવારો કલ્યાણ નગર ખાતે મકાન ફાળવવાની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પાલિકા તંત્ર શું નિર્ણય લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
