ભૂમાફિયાઓ દ્વારા સરકારી કે અર્ધસરકારી કે પછી ખાનગી જમીનમાં ખોટી રીતે કબજો કરી લેવામાં આવ્યો હોય તેવા વધી રહેલા કિસ્સાઓ સામેં રાજ્ય સરકારે લાલ આંખ કરતા એન્ટિ લેન્ડગ્રેબિંગ એક્ટના કાયદા હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે રાજકોટમાં પણ મોટા ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે નિર્દોષ લોકોમાં મોટી આશા બંધાઇ છે.જેથી આવા કેસની અરજીઓનો એક બાદ એક નિકાલ કરવામાં આવી રહ્યો છે.
જે અન્વયે વધુ એક વખત રાજકોટ જિલ્લાની એન્ટિલેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક શુક્રવારે સાંજે મળી હતી જેમાં 22 અરજીઓ પૈકી અમુકમાં ચર્ચા કર્યા બાદ એક અરજીમાં ફરિયાદ દાખલ કરવા માટે નિર્ણય લેવાયો છે જ્યારે બાકીની અરજીઓ વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રખાઈ છે. જે કેસમાં ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે તે જિલ્લા પોલીસવડાના ક્ષેત્રમાં આવે છે તેમજ ભુમાફિયાએ કાયદેસરના જમીન માલિકને ખદેડીને કબજો કરીને રાખ્યો છે અને ધાકધમકીઓ આપી હોવાનું નોંધાતા તેની સામે કાર્યવાહી કરવા મન બનાવાયું છે.
આ અંગે એન્ટી લેન્ડ ગ્રેબિંગ કમિટીના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અરજી અન્વયે જમીનના પારવારિક હક મામલે પણ એન્ટિ લેન્ડ ગ્રેબિંગની અરજી થઈ હતી. આ અરજી રેવન્યુ તેમજ પોલીસ બંને વિભાગે પાસે હતી અને એક વિભાગે તેમાં ગુનો દાખલ થાય તેવો રીપોર્ટ આવ્યો જ્યારે બીજા વિભાગે લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યામાં ન આવતુ હોવાનું જણાવ્યુ હતું. કેસ તો બનતો હતો પણ પારીવારીક ડખ્ખો હોવાથી કમિટીએ સમાધાન થતુ હોય તો કોર્ટ કચેરીએ પરીવારને ધક્કા ન થાય તે માટે સમાધાન કરાવવાનો પ્રયાસ કરવા નિર્ણય લીધો છે તે સહિતની બીજી અરજીઓ પેન્ડિંગ રખાઈ છે.