સુરતનો કાપડ ઉદ્યોગ કોરોનાની બીજી લહેર બાદ ઉભો થવા મથી રહ્યો છે. ત્યારે આ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયો પણ ગાડી પાટા પર આવવાની રાહ જોઈ રહયા છે. ત્યારે ખાસ કરીને ટેક્સ્ટાઇલ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટરો ની હાલત કફોડી બની છે.
- કોરોના કાળમાં દરેક વેપાર ધંધા છે બંધ
- વેપાર ધંધા બંધ થતા સૌથી મોટી અસર ટ્રાન્સપોર્ટને
- ટ્રાન્સપોર્ટર્સની હાલત બની કફોડી
- ટેક્સ્ટાઇલ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટર્સની હાલત કફોડી
છેલ્લા દોઢ વર્ષ થી કોરોના ની મહામારીને લીધે કાપડ ઉદ્યોગ બંધ છે, હાલ બીજી લહેર બાદ સરકારે ટેક્સ્ટાઇલ માર્કેટો ખોલવાની મંજૂરી તો આપી દીધી હતી. પરંતુ અન્ય રાજ્યોની મંડીઓ શરૂ ન થતા સુરતથી કોઈ પણ માલ બહાર મોકલવામાં આવતો નથી. કાપડ ઉદ્યોગની મેન સીઝન તહેવારો અને લગ્ન પ્રસંગમાં હોય છે.. ત્યારે તે સીઝનમાં લોકડાઉનના કારણે વેપાર થઈ શક્યો ન હતો.
અન્ય રાજ્યોમાં કાપડનો માલ ન જવાના કારણે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ હજારો લોકો બેરોજગાર થયા છે. ટ્રાન્સપોર્ટેસન બંધ થવાના કારણે ટ્રકોના પૈડાં થભી ગયા છે. જેના કારણે તેની સાથે સંકળાયેલા તમામ લોકો બેરોજગાર બન્યાં છે. હાલ માંડ માંડ 20 ટકા જ ધંધો ચાલતો હોવાને કારણે પેહલા કરતા આવકમાં ઘણો ઘટાડો નોંધાયો છે. જેને લીધે મોટાભાગના ચાલકો અને મજૂરો પોતાના વતન જતા રહ્યા છે. અને જે લોકો વતન થી પરત આવ્યા છે તેઓ પણ રોજગારી અને આવક મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે.
હાલ તો કાપડ ઉદ્યોગના ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોને સરકાર પાસે અપેક્ષા છે કે ડીઝલના ભાવમાં ત્રિમાસિક અથવા છ માસિક વધારો કરે, રોજબરોજના ભાવ વધારો ન થવો જોઈએ. ઉપરાંત ટેક્સમાં રાહત તેમજ વધુ છ મહિનાનો મોરોંટોરિયમ પિરિયડ આપવામાં આવે. જેથી આ ટ્રાન્સપોર્ટરોનો ધંધો જીવિત રહે.