રાજકુમારનો એક ડાયલોગ ખુબ પ્રખ્યાત છે,‘તુમ જહાં સે સોચના બંધ કરતે હો, હમારી સોચને કી શરૂઆત વહાં સે હોતી હૈ’ રાજ્યમાં ઇન્કટેક્સ વિભાગે જે રીતે દરોડા પાડ્યા છે તેની રણનિતી પણ કંઇક આ ડાયલોગને મળતી આવે છે. તાજેતરમાં ગુજરાતના નામી બિલ્ડરો સહિત ૨૨ સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ જે રીતે ત્રાટક્યા તેની મોડસ ઓપરેન્ડી ભૂતકાળ કરતાં કંઇક અલગ જોવા મળી છે. અત્યંત ગુપ્તતા અને અધિકારીઓને પણ છેલ્લે સુધી અંધારામાં રખાયા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે.
મોટેભાગે ઇન્કમટેક્સના દરોડાનો સમય વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યાનો હોય છે. અને પ્લાન પ્રમાણે અગાઉથી એકઠા થયેલા અધિકારીઓ જે તે સ્થળ પર પહોચી જતા હોય છે. પણ આ વખતે કરવામાં આવેલા દરોડાના સમયમાં ફેરફાર કરી દેવાયો. અને સવારના બદલે અગિયાર વાગ્યાનો સમય પસંદ કરવામાં આવ્યો. મંગળવારે અમદાવાદમાં બી-સફલ ગ્રુપ અને એસ્ટેટ બ્રોકરોના ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી. તેની સાથે શહેરમાં કુલ 22 સ્થળો ઉપર કાર્યવાહી હાથ ધરાઇ. બી-સફલ ગ્રુપ, એસ્ટેટ બ્રોકર પ્રવીણ બાવડિયાની ઓફીસ, સાથે સાથે બી-સફલ ગ્રુપના તમામ ડિરેક્ટરોની ઓફીસ તથા ઘર ઉપર આયકર વિભાગ બરાબર અગિયાર વાગ્યે આવી પોહચ્યું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ત્યારે ઘરે માત્ર મહિલાઓ જ હતી અને પુરૂષો બહાર હતા. જેમને ફોન કરીને ઘરે બોલાવાયા.
ઇન્કમટેક્ષ વિભાગની આ કાર્યવાહીમાં ૧૦૦થી વધારે અધિકારીઓનો કાફલો લાગ્યો હતો. રાજ્યમાં જ્યારે મોટા પ્રમાણમાં દરોડાની કાર્યવાહી થતી હોય છે ત્યારે રાજ્યભરમાંથી અધિકારીઓને આગલા દિવસે એકઠા કરવામાં આવે છે. જેનાથી કોઇના કોઇ પ્રકારે કરચોરોને તેની ગંધ આવી જતી હતી. ક્યાંક ને ક્યાંક દરોડાની કામગીરી પહેલાં જ માહિતી લીક થઇ જતી હતી. અને કરચોરી કરતાં મોટામાથાઓમાં ખુબ ઝડપથી ‘મહેમાન’ આવવાના છે તેવો મેસેજ ફરતો થઇ જતો હતો. પરિણામે કરચોરોની ગણતરીમાં આવતા મોટામાથા સજીધજીને તૈયાર થઇ જતાં હતા અને ઇન્કમટેક્સ વિભાગની ટીમને લીલા તોરણે પરત ફરવું પડતું હતું. પણ આ વખતે છેક છેલ્લા સમય સુધી અધિકારીઓ માટે પણ આ કાર્યવાહી સસ્પેન્સ રહી. જે ઇન્કમટેક્સ વિભાગની કામગીરીમાં એક નવી વાત હતી અને છેલ્લે સુધી કોઇને ખબર ન હતી કે ઇન્કમટે્કસની આમંત્રણ પત્રિકામાં આ વખતે કોના નામ છે.
તો દરોડાની કામગીરીમાં વધારે ગુપ્તતા જળવાય તે માટે આ ખુબ જ ચોકસાઇ રાખવામાં આવી. અને દરોડાના સ્થળ પર પહોચવા માટે સરકારી ગાડીઓના કાફલાને બદલે અધિકારીઓને આ વખતે ઓલા અને ઉબેર જેવી ટેક્સીઓમાં મોકલવામાં આવ્યા. જેનાથી કોઇને પણ ગંધ ન આવે કે ઓપરેશન કઇ દિશામાં ચાલી રહ્યુ છે. એટલે કે કરચોરોને ઉંઘતા ઝડપી લેવાની આ ઇન્કમટેક્સ વિભાગની ટ્રીક પણ કંઇક નવી જોવા મળી. જો કે મોટેભાગે આવી કાર્યવાહી વખતે ઇન્કમટેક્સ વિભાગની સાથે સાથે એસ.આર.પી. અને પોલીસ બંદોબસ્ત પણ હોય છે. જ્યારે આ વખતે તેમની પણ કોઇ ઉપસ્થિતી જોવા ન મળી.
એટલે કે સ્પષ્ટ રીતે જોઇએ તો ઇન્કમટેક્સ વિભાગની આ વખતની કાર્યવાહી અગાઉની કાર્યવાહીઓ કરતાં કંઇક અલગ હતી. કંઇક નવી રણનીતી હતી. જેમાં છેલ્લી ઘડી સુધી સૌ કોઇ અંધારામાં હતા. આ અંધારામાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ હતા અને જેના ત્યાં કાર્યવાહી થવાની હતી તે પણ અંધારામાં ઝડપાઇ ગયા હતા. જો કે દર વખતે રાજ્યમાં કોઇ પણ સ્થળ હોય કે વ્યક્તિ એક જ પદ્ધતિથી ઇન્મકટેક્સ વિભાગ કામ કરતો હતો. પણ આ વખતની એડવાન્સ કાર્યપ્રણાલીએ કરચોરોમાં પણ ફફડાટ ફેલાવ્યો છે.