તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ સતત નવા રેકોર્ડ સ્થાપી રહી છે. વાયબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવા સમયે 10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની પણ તૈયારીઓ શરુ થઇ ચુકી છે.
આગામી જાન્યુઆરી 2022 માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે. ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની 10મી શ્રૃંખલાના પ્રારંભ પૂર્વે આજે ગુજરાત સરકારે રૂ. 24 185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 20જેટલા MOU (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે.
ગાંધીનગરમાં સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં આ MOU પર હસ્તાક્ષર થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતના વૈશ્વિક વિકાસનો જે પાયો આ સમિટથી નાખ્યો છે તેના પરિણામે આજે ગુજરાત દેશ અને દુનિયાના રોકાણકારો માટે એક સક્ષમ માધ્યમ બન્યું છે. રાજ્ય સરકાર પણ નરેન્દ્ર મોદી ના પદચિન્હો પર ચાલીને સકારાત્મક બિઝનેસ પોલિસી તથા પ્રોત્સાહક વાતાવરણથી વધુ ને વધુ ઉદ્યોગો રાજ્યમાં આવે તે માટે પ્રતિબદ્ધ છે.
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જે એમ ઓ યુ થાય તે ઉદ્યોગો સમયસર શરુ કરવાની જવાબદારી ઉદ્યોગો નિભાવે તે જરૂરી છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને જરૂરી મદદ અને સહાય રૂપ થવાની નેમ પણ વ્યક્ત કરી હતી.
સોમવારે થયેલા MOU પર હસ્તાક્ષર થયા તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (SIR)માં બે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર બંને દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવતું હોવાથી રોકાણકારોને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ સહિત પુષ્કળ તકો ઉપલબ્ધ થઈ રહી છે
જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં – ઉત્પાદન, રસાયણો તેમજ એગ્રોકેમિકલ્સ, ટેકનિકલ ટેક્સટાઇલ, દવા ઉદ્યોગો તેમજ કૃષિ સાધનો બનાવતી કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે/ આ ઉદ્યોગો ગુજરાતમાં દહેજ, ભરુચ, ધોલેરા, વડોદરા, હાલોલ સહિત અન્ય સ્થળોએ મૂડીરોકાણ કરશે
આ મૂડીરોકાણો દ્વારા “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”નું સ્વપ્ન સાકાર થશે. આ સમિટ દ્વારા બિઝનેસ તેમજ સમાજ માટે સર્વ સમાવેશક પ્રગતિનો માર્ગ ખૂલશે અને તેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકાશે.
આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથન, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર તથા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
