માંગ/ સરકાર યુક્રેનથી પરત આવેલા વિધાર્થીઓને ભારતીય સંસ્થામાં પ્રવેશ આપે-વરૂણ ગાંધી

યુક્રેન વિવાદે હજારો વિદ્યાર્થીઓને માનસિક રીતે ભાંગી નાખ્યા છે. એક તરફ યુદ્ધના મેદાનની કડવી યાદો છે અને બીજી તરફ ભવિષ્ય અટવાઈ રહ્યું છે

Top Stories India

રશિયા અને યુક્રેનના યુદ્વ વચ્ચે ભારત પરત ફરવા મજબૂર થયેલા મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્વરતાલ છે, આવી સ્થિતિમાં ભાજપના સાંસદ વરુણ ગાંધીએ મોદી સરકારને યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્થાઓમાં પ્રવેશ આપવાની અપીલ કરી છે જેથી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે.

વરુણ ગાંધીએ કહ્યું કે યુક્રેન વિવાદે હજારો વિદ્યાર્થીઓને માનસિક રીતે ભાંગી નાખ્યા છે. એક તરફ યુદ્ધના મેદાનની કડવી યાદો છે અને બીજી તરફ ભવિષ્ય અટવાઈ રહ્યું છે.આપણે ભારતીય સંસ્થાઓમાં નિયમો હળવા કરીને આ વિદ્યાર્થીઓને સ્થાન આપવું પડશે.તેમની ચિંતા અને તેમના માતા-પિતાની ચિંતા, આપણી ચિંતા હોવી જોઈએ.

આ પહેલા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ વડાપ્રધાન મોદી પાસે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને ભારતની સંસ્થાઓમાં સમાવવાની માંગ કરી છે. જેમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવાની માંગણી કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે પણ આ મામલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની પણ અપીલ કરી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવે છે અને તેમના ઘણા પૈસા યુક્રેનમાં ખર્ચવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, તેમના બાકીના શિક્ષણનો ખર્ચ પણ કેન્દ્ર સરકારે તેમના ખભા પર ઉઠાવવો જોઈએ.

ભારતના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરતા હતા. પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધના કારણે તેને યુક્રેનથી ભારત પરત ફરવાની ફરજ પડી છે. ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં અટવાયેલા છે. યુદ્ધના કારણે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ થઈ ગયો છે. નજીકના ભવિષ્યમાં યુક્રેનમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં ભારત સરકાર આ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અંગે નીતિવિષયક નિર્ણયો લે તેવી માંગ કરવામાં આવી રહી છે.