શ્રીલંકા ક્રિકેટ (SLC) એ એશિયા કપ 2022 T20 ક્રિકેટની યજમાની કરવાનો ઇનકાર કરી દીધો છે. શ્રીલંકા ક્રિકેટે બુધવારે એશિયા ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે આર્થિક અને રાજકીય કારણોસર તે T20 એશિયા કપની યજમાની કરવાની સ્થિતિમાં નથી. આર્થિક સંકટને કારણે લંકા પ્રીમિયર લીગ (LPL)ની ત્રીજી આવૃત્તિ પણ મોકૂફ રાખવામાં આવી છે. ACCના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્રીલંકાએ કહ્યું છે કે અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તે છ ટીમોની આટલી મોટી ટૂર્નામેન્ટ યોજવાની સ્થિતિમાં નથી.
SLCએ કહ્યું કે તેઓ આ ટૂર્નામેન્ટ કોઈપણ દેશમાં આયોજિત કરવા માટે તૈયાર છે. T20 વર્લ્ડ કપ પહેલા ACC આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપને લઈને આગામી થોડા દિવસોમાં મોટી જાહેરાત કરી શકે છે. ACCના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અથવા સંયુક્ત આરબ અમીરાત (UAE)ને ટૂર્નામેન્ટની યજમાની કરવાની તક મળી શકે છે.
ACCના સૂત્રોના જણાવ્યા અનુસાર UAE અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અન્ય કોઈ દેશ પણ યજમાન બની શકે છે. ટૂર્નામેન્ટ ભારતમાં યોજાવાની શક્યતાઓ વધારે છે, કારણ કે ACC અને શ્રીલંકા ક્રિકેટે અમીરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરવી પડશે અને ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે તેમની અંતિમ મંજૂરી લેવી પડશે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ છે. આવી સ્થિતિમાં, ભારતમાં ટૂર્નામેન્ટના આયોજન માટે વધુ તક રહેલી છે. જો આમ થશે તો ચાહકોને અહીં ભારત-પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ જોવા મળી શકે છે. આ સાથે ભારતીય ટીમ પાસે ટી20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવાની તક પણ હશે.