NCERT પુસ્તકોમાંથી ખાલિસ્તાનનો ઉલ્લેખ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં, ગયા મહિને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ને પત્ર લખ્યો હતો. જેમાં 12મા ધોરણના પુસ્તકમાંથી ખાલિસ્તાનનો ઉલ્લેખ હટાવવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત, NCERT પુસ્તકોમાંથી શીખોને ‘અલગતાવાદી’ તરીકે દર્શાવવામાં આવ્યા છે તે હકીકતનો ઉલ્લેખ દૂર કરવો જોઈએ.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ધોરણ 12ની પોલિટિકલ સાયન્સની પુસ્તકમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ હતો. 12મા ધોરણના પોલિટિકલ સાયન્સના પુસ્તક ‘પોલિટિક્સ ઇન ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા’ના સાતમા પ્રકરણ (પ્રાદેશિક આકાંક્ષાઓ)માં ખાલિસ્તાન વિશે વાત કરવામાં આવી હતી. આમાં ‘શિખ રાષ્ટ્રને મજબૂત કરવાની દલીલ’ કહેવામાં આવી હતી, જેને હવે હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આનાથી શીખોની છબી ખરાબ થઈ રહી છે.
SGPCએ NCERTને લખેલા પત્રમાં ‘ખોટી માહિતી’ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. NCERT પર ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાનો આરોપ હતો. SGPCએ ધોરણ 12ના પાઠ્યપુસ્તકના સાતમા પ્રકરણ (પ્રાદેશિક આકાંક્ષાઓ)માં આપવામાં આવેલી આનંદપુર સાહિબ અને ખાલિસ્તાન વિશેની માહિતી સામે વાંધો ઉઠાવ્યો હતો. સમિતિએ આ તથ્યોને પુસ્તકોમાંથી હટાવવાની માંગ કરી હતી.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રાદેશિક આકાંક્ષાઓ નામના આ પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે 1973માં આનંદપુર સાહિબ ઠરાવ શિરોમણી અકાલી દળ (SAD) દ્વારા અપનાવવામાં આવ્યો હતો. પુસ્તકમાં ઠરાવને ‘અલગતાવાદી ઠરાવ’ તરીકે દર્શાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવ દ્વારા પ્રાદેશિક સ્વાયત્તતાની માંગ ઉઠાવવામાં આવી છે.