મહિલા સશકિતકરણ, આધુનિક સમયમાં સૌથી વધુ સાંભળવા મળે છે. જેમાં ભારતીય નારીઓએ સાચા અર્થમાં મહિલા સશકિતકરણના અર્થને સાર્થક કર્યુ હોવાનું પ્રમાણ મળે છે. મહિલાઓની કાર્યક્ષમતા ઉક્ત કામગીરી ગામડાઓની રૂઢીચુસ્ત સામાજિકતાવાળા લોકો ઉપર આની સીધી અસર થઇ અને પુરુષપ્રધાન કાર્યક્ષેત્રમાં થતા બદલાવ અને મહિલાઓની કાર્યક્ષમતાની પ્રતિતિ થઇ રહેતા આધુનિક જમાનાનો બદલાવ સ્પષ્ટ જણાઈ આવતા વધુ ને વધુ મહિલાઓ અલગ-અલગ કાર્યક્ષેત્રોમાં જોડાવા જાગૃત બની છે.

વાત કરીએ પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના પાલ્લા ગામની ૦૬ સખી મંડળની ૬૦ બહેનોએ વાંસકામના વ્યવસાય થકી આત્મનિર્ભર બની આર્થિક સમૃધ્ધીના દ્વાર ખોલ્યા છે. આજે સમાજમાં વટભેર જીવન વ્યતિત કરી રહી છે. પાલ્લા મિશન મંગલમ મંડળની બહેનોને ગ્રામ્ય વિસ્તારમાં પોતાના ઘર પરિવારને મદદરૂપ થવા અને પોતે પણ આર્થિક રીતે પગભર થવા માટે મિશન મંગલમ યોજનાની જાણકારી મેળવી આ બહેનોને વાંસ કામ માટે રહેવા જમવા સહિતની સુવિધાઓ સાથે ૧૦ દિવસની નિ:શુલ્ક તાલીમ આપવામા આવી છે. ત્યારબાદ વાસંકામ પ્રવૃતિ દ્વારા સુશોભનની સુપડુ, પેન બોક્સ, ટીફીનના ડબ્બા, ટોપલીઓ, છાબડીઓ, ગૃહશોભા માટેની વસ્તુઓ, ફાનસ વગેરે બનાવવા માટે તેમને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કેશ ક્રેડિટ યોજના અંતર્ગત બેંકમાથી પ્રત્યેક ગ્રુપને રૂા. ૦૧ લાખની લોન મળી છે. કમ્યુનિટી ઈન્વેસ્ટ ફંડ હેઠળ પ્રત્યેક ગ્રુપને ૭૦ હજારની લોન મળી છે. વિલેજ ઓર્ગેનાઈઝેશન અંતર્ગત આ જુથોને ૫ લાખની સહાય આપવામા આવી છે. બેંકમાંથી રિવોલિંગ ફંડ પ્રત્યેક ગ્રુપને ૧૨ હજાર મળેલ છે તેમજ સ્ટાર્ટઅપ ઓફ ગ્રામ વિલેજ યોજના અંતર્ગત પ્રત્યેક ગ્રુપને ૧ લાખની સહાય મળી છે.

આ મંડળના આત્મનિર્ભર મહિલા રમીલાબેન જણાવે છે કે અમે બહેનો ગામડામાંથી વાંસ મેળવી પોતાની જાતે વાંસકામની અવનવી કલાત્મક વસ્તુઓ બનાવીએ છીએ અને સ્થાનિક તેમજ આજુબાજુના શહેરોની નાની મોટી દુકાનોમાં તેમજ મોટા શહેરોમાં યોજાતા મેળાઓમાં આ વાંસકામ આર્ટીકલનું વેચાણ કરી મહિને રૂા.૭૦૦૦ થી ૮૦૦૦ હજારની આજીવિકા મેળવીએ છીએ.જે આ આવકમાંથી ભવિષ્ય માટે થોડી બચત કરીએ છીએ. તેમજ પોતાના ઘર પરિવાર માટે આર્થિક ઉપાર્જન કરી બાળકોને ભણાવવામાં મદદરૂપ થઇએ છીએ. આ વાંસકામની પ્રવૃતિ થકી અમે સમાજમાં તેમજ ગામમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડયું છે.

મિશન મંગલ સખી મંડળના સહયોગી કલ્યાણભાઇ વાલ્મીકીએ જણાવ્યું કે, રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના થકી અમારા મંડળની બહેનોને ખુબજ ફાયદો થયો છે અને તેમની આજીવિકામાં વધારો થયો છે તેમના જેવી ગામડાની ગરીબ બહેનો પણ સમાજમાં સ્વમાનભેર જીવી શકે છે અને તેમના કુટુંબનું ભરણ પોષણ સારી રીતે શકે તેવા પ્રયાસો સરકારએ કર્યા છે. આ સાથે પ્રત્યેક બહેનો મહિને ૧૦૦ રૂપિયા બચત કરે છે જે અંતર્ગત મહિને ૬૦૦૦ની બચત ઉભી થાય છે જે મુશ્કેલીના સમયમા આ નાણાંનો ઉપયોગ કરી પરીવારમાં સહભાગી બને છે. આમ સરકારની મિશન મંગલમ યોજના થકી પાલ્લા ગામના મંડળની બહેનો વાંસકામના વ્યવસાય દ્રારા આજીવિકામાં વધારો કરી આ ગરીબ બહેનો આજે સમાજમાં સ્વમાનભેર જીવી અન્ય બહેનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
આ પણ વાંચો : વલસાડનાં યુવકે હિમાચલ પ્રદેશનાં લાહુલ વેલીમાં 6126 મીટર ઉંચો માઉન્ટ સર કરી તિરંગો લહેરાવ્યો
