ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જી.પી.એસ.સી. દ્વારા પસંદગી પામેલા મદદનીશ અધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ઋષિકેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના કુલ ૬૨ મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ઋષિકેશભાઈએ પ્રાધ્યાપકોને સંબોધતા કહ્યું કે એક શિક્ષકની જવાબદારી માત્ર અર્થોપાર્જન માટે નહિ પરંતુ, ભાવી પેઢીનું યોગ્ય ઘડતર કરી તેને તૈયાર કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના મોદીની દૂરંદેશિતા અને વિઝનના પરિણામે આજે ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦નું અમલીકરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ-ર૦ર૦ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી અને આજના સમયની જરૂરિયાત છે. આ સાથે તેમણે પ્રાધ્યાપકોને કહ્યું કે આપની નિમણૂક એવા સમયે થઈ રહી છે, જ્યારે શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે.
નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપકોએ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના સફળ અમલીકરણમાં મૂલ્યવાન ટેકો આપવા સંપૂર્ણ સમર્પણ આપશે. અને આ પહેલમાં સકારાત્મક યોગદાન આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને યોગ્ય માર્ગદર્શન આપતા એક શિક્ષકથી વધુ ગુરુનો દરજ્જો મેળવવા હરહંમેશ પ્રયાસ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતનું શિક્ષણ અને ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વકક્ષાએ ગૌરવભેર ઊભા રહેવાની ક્ષમતા આપે છે અને પરિણામે આજે સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની અલગ ઓળખ ઉભી થઈ છે. જે આપણા માટે ગૌરવની વાત છે. આ ક્ષમતામાં વધારો કરવા, ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ઉત્તમ માળખાકીય સુવિધા પૂરી પાડવા સક્ષમ અધ્યાપકોની સત્વરે નિમણુંક કરવાનો રાજ્ય સરકારનો મુખ્ય ઉદેશ છે. એ હેતુસર જી.પી.એસ.સી. દ્વારા પસંદગી પામેલા મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક આપવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે નવનિયુક્ત ઉમેદવારોને શિક્ષણ વિભાગમાં આવકારતા કહ્યું કે શિક્ષણથી વિશેષ કોઈ સેવા નથી અને વિદ્યાદાન સર્વ દાન કરતાં શ્રેષ્ઠ છે. આપ સૌ ભાગ્યશાળી છો કે શિક્ષણ તમને સેવારૂપે પ્રાપ્ત થયું છે. સાથે તેમણે નવા પ્રાધ્યાપકોને વિદ્યાના પ્રકાશ થકી અનેક વિદ્યાર્થીઓનાં જીવનને નવી રાહ આપે તેવી શુભકામનાઓ પાઠવી.
મહત્વનું છે કે, જી.પી.એસ.સી. દ્વારા મદદનીશ પ્રાધ્યાપક તરીકે પસંદગી પામેલા ઉમેદવારો પૈકી આંકડાશાસ્ત્ર વિદ્યાશાખામાં ૧૧, હિન્દી વિદ્યાશાખામાં ૨૧, ગણિતશાસ્ત્ર વિદ્યાશાખામાં ૧૧, વાણિજ્ય વિદ્યાશાખામાં ૧૬, અર્થશાસ્ત્ર વિદ્યાશાખામાં ૦૨ અને ગુજરાતી વિદ્યાશાખામાં ૦૧ મળી કુલ ૬૨ મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક આપવામાં આવી છે.
આ પણ વાંચો : Porbandar/ ઇન્સ્ટાગ્રામ પ્રેમપ્રકરણમાં પત્નીના પ્રેમીએ યુવકની કરી હત્યા
આ પણ વાંચો : Contreversey/ કુમાર વિશ્વાસના માણસોએ સખત માર માર્યો હોવાનો ડોક્ટરનો દાવો, મારપીટનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો : Jammu Kashmir/ પાકે.ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, BSFનો જવાન શહીદ

