Israel News: ઈઝરાયેલમાં ફરી ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ જેરુસલેમ નજીક રોડ પરથી પસાર થઈ રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. જોકે, પોલીસે બંને હુમલાખોરોને ઠાર માર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બંદૂકધારીઓએ ગુરુવારે જેરુસલેમના એન્ટ્રી પોઈન્ટ પર મુખ્ય હાઈવે નજીકથી બસની રાહ જોઈ રહેલા અને પસાર થઈ રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. ઈઝરાયેલ પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3 લોકોની હાલત ગંભીર છે. તેમણે જણાવ્યું કે આ ઘટના સવારના ખૂબ જ વ્યસ્ત સમય દરમિયાન બની હતી. પોલીસે જણાવ્યું કે બંને હુમલાખોરો માર્યા ગયા છે.
દરમિયાન, મોટા સમાચાર એ છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થવાના 8 મિનિટ પહેલા એટલે કે ભારતીય સમય અનુસાર સવારે 10:22 વાગ્યે, તેને 1 દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. ઈઝરાયેલ અને કતારના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ હમાસે આજે મુક્ત કરવામાં આવનાર 10 બંધકોની યાદી આપી છે જેને ઈઝરાયેલે મંજૂરી આપી દીધી છે. યુદ્ધવિરામ હેઠળ, હમાસ દરરોજ 10 બંધકોને મુક્ત કરશે. તેના બદલામાં ઈઝરાયેલ 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે યુદ્ધવિરામની અન્ય શરતો પર હજુ પણ વાટાઘાટો ચાલી રહી છે.
આ પહેલા ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ વચ્ચે હમાસે ગાઝા પટ્ટીના 16 બંધકોને ઈઝરાયેલને સોંપ્યા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ, નાગરિકોના આ જૂથમાં ઇઝરાયેલ અને થાઇ નાગરિકોનો સમાવેશ થાય છે. આ બંધકોની મુક્તિના બદલામાં, ઇઝરાયેલ 30 પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને જેલમાંથી મુક્ત કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ હમાસની કેદમાંથી 16 બંધકોને છોડાવવાની પુષ્ટિ કરી છે. IDFએ કહ્યું કે બંધકોના પરિવારોને નવીનતમ માહિતી સાથે અપડેટ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે આપી મોટી ભેટ,મહિલાઓને રોડવેઝ બસમાં મફત મુસાફરી
આ પણ વાંચોઃ પંજાબના લુધિયાણામાં એન્કાઉન્ટર, 2 ગેંગસ્ટાર ઠાર,પોલીસ અધિકારી ઘાયલ
આ પણ વાંચોઃ નેપાળમાં પ્રથમ સમલૈંગિક લગ્ન નોંધાયા,દક્ષિણ એશિયામાં આવા લગ્ન કરનાર પ્રથમ દેશ બન્યો
