Narmada News: આપના વિધાનસભ્ય ચૈતર વસાવાએ આરોપ મૂક્યો છે કે ઝરવાણી ગામમાં પાણી પહોંચ્યું નથી પણ 62 કરોડ રૂપિયાના કામ થઈ ગયા છે. આ ઉપરાંત મનરેગામાં એકની એક જ એજન્સીને કેમ આપવામાં આવે છે તે સવાલનો જવાબ તંત્ર હજી સુધી આપી શક્યું નથી. આ સિવાય એજન્સીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તેને 22 કરોડની રકમની ચૂકવણી શેની કરાઈ તેનો પણ તંત્ર પાસે જવાબ નથી.
નર્મદા જિલ્લાની રાજપીપળા ખાતે કલેક્ટર ઓફિસે જિલ્લા સંકલન સમિતિની બેઠક રાખવામાં આવી હતી. તેમાં આ બધા સવાલોના જવાબ ન મળતાં ચૈતર વસાવા કલેક્ટર ઓફિસની બહાર જ ધરણા બેસી ગયા હતા. હાજર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો પૂછતાં તેમના સવાલોનો કોઈએ જવાબ આપ્યો નહોતો. તેથી તેઓ ચાલુ સભામાંથી નીકળી ગયા હતા અને કલેક્ટરની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા હતા. પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી હતી, પણ એ પણ નિષ્ફળ નીવડી હતી અને જ્યારે તેમના સવાલોના જવાબ મળશે ત્યારે જ ચૈતર વસાવા ઊભા થશે એવી તેમણે પ્રતિક્રિયા આપી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે ત્રીજા શનિવારે સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં સાત દિવસ પહેલાં લોકોના પ્રશ્નોની રજૂવાત કરવાની હોય છે. ત્યારે ગુજરાતમાં 41 જેટલા તાલુકાને વિકસિત તાલુકા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ડેડિયાપાડા, સાગબારા તાલુકાનો પણ સમાવેશ થયો છે અને એનું 4 કરોડનું બજેટ આવ્યું હતું અને મિટિંગ પણ થઈ હતી.
આમાં ડેડિયાપાડાના 100 અને સાગબારાના 100 ખેડૂતોનાં બોર, મોટરો મંજૂર કર્યાં હતાં, જેના આયોજનને અધિકારીએ એજન્સીના ઇશારે બદલી તળાવો, બાયો ગેસ મંજૂર કરી દીધાં છે. આ સવાલ મેં પૂછ્યો તો મને કોઈ જવાબ આપવા તૈયાર નથી. તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે મારો બીજો પ્રશ્ન છે ટ્રાયબલ મ્યુઝિયમમાં 30 ટકા કામગીરી થઈ છે, બાકીની ક્યારે થશે એ બાબતે પણ જવાબ આપ્યો નથી. જેની જમીનો ગઈ છે એવા એકતાનગરમાં સ્કૂલ ક્યારે બનશે એનો પણ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં 16 ડેમ હાઈએલર્ટ, ભારે વરસાદથી છલકાવાની શક્યતા
આ પણ વાંચો: સુરતમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સાથે થઇ ઠગાઇ
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી વખતે અટકેલા ફેરફારો શરૂઃ સામાન્ય વહીવટી વિભાગમાં બદલીથી ખળભળાટ
