Gandhinagar News: રાજ્યમાં લોકસભા ચૂંટણીના લીધે અટકેલા સરકારી તંત્રના ફેરફારો ચૂંટણી પૂરી થતાં શરૂ થઈ ગયા છે. તેમાં પણ સામાન્ય વહીવટી વિભાગમાં સાગમતટે થયેલી મોટી બદલીએ ખળભળાટ મચાવી દીધો છે. આના પગલે હવે સામાન્ય વહીવટી વિભાગમાં નીચેની કેડરમાં પણ બદલી થાય તેવી સંભાવના પ્રબળ બની છે. આમ ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગમાં ફેરફારોનો ગંજીફો ચીપાયો છે.
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગમાં સ્પેશ્યલ સ્ટેટ ટેક્સ કમિશ્નર અને વર્ષ 1998ની બેચના આઇઆરએસ અધિકારી સમીર વકીલનો સમયગાળો પૂરો થતાં તેમને કેડરમાં પરત મોકલી દેવાયા છે. સમીર વકીલ પાંચ વર્ષથી રાજ્યની જીએસટી કચેરીના વડા તરીકે કાર્યરત હતા. તેમની આ નિમણૂક પાછળ કેન્દ્રીય નેતાનો હાથ હોવાનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના વેરા કમિશ્નર તરીકે પહેલી વાર ગુજરાતમાં આઇઆરએસ અધિકારી સમીર વકીલની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે છ વર્ષ સુધી વિભાગમાં ફરજ બજાવી હતી. હવે નવું પોસ્ટિંગ કેન્દ્ર સરકાર કરશે. તે સ્ટેટ વિભાગમાં સ્પેશ્યલ કમિશ્નર અને ચીફ કમિશ્નર બંનેનો હોદ્દો ધરાવતા હતા. હવે રાજ્ય સરકારે ગુજરાત કેડરના આઇએએસ અધિકારીને મૂક્યા છે.
તેમને કેડરમાં પરત મોકલ્યા પછી નાણા વિભાગના સચિવ આરતી કંવરને ચીફ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. બીજી તરફ ચૂંટણીપંચનું ડેપ્યુટેશન પૂરું થતાં ગુજરાતના ચૂંટણી અધિકારી પી. ભારતીને સ્પેશ્યલ સ્ટેટ ટેક્સ કમિશ્નર તરીકે નીમવામાં આવ્યા છે. એક જ સાથે થયેલી આ બદલીના લીધે સામાન્ય વહીવટી વિભાગમાં સોંપો પડી ગયો છે. તેમા પણ એક જ સ્થળે પાંચ કે તેથી વધુ વર્ષ સમયથી હોદ્દો સંભાળતા અધિકારીઓ પર બદલીની તલવાર તોળાયેલી છે. સામાન્ય બદલીમાં આ અધિકારીઓનો પહેલા નંબર લાગે તેમ મનાય છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે કંટ્રોલરૂમ ઊભો કરાયો
આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે
આ પણ વાંચો: પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડેપગે
