Sabarkantha News: સાબરકાંઠાના પ્રાંતિજમાં (Prantij) વીજ કરંટ લાગતા 9 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. મકાનના ધાબા પર પતંગ ચગાવતા બાળકીને વીજ કરંટ (Electrocution) લાગતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારમાં માસૂમ બાળકીનું મોત થતા માતાપિતા આક્રંદ કરી રહ્યા છે.

પતંગનો શોખ પૂરો કરવામાં ન જાણે કેટલાય માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે. ત્યારે પતંગની મજા માણવા પ્રાંતિજ તાલુકામાં નાનીભાગોળ કહારવાસમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી 9 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. માહિતી પ્રમાણે મકાન પાછળથી પસાર થઈ રહેલ અગિયાર હજાર કિલોવૉટની વીજ લાઇનમાં ફસાયેલા પતંગને કાઢવા જતી હતી ત્યારે એકાએક વીજળીનો કરંટ લાગતા શરીર ભડથું થવા લાગ્યું હતું.

બાળકીને વીજકરંટ લાગતા મકાનના ધાબા ઉપર બાળકીના બન્ને હાથ અને પગ પેટ બળી ભથ્થુ થઈ છુટા પડી ગયા હતા. ઘટના ઘટતા અન્ય બાળકોએ બૂમાબીમ કરી હતી. ઘટનાની જાણ થતાં પરિવારના લોકો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. માસૂમ બાળકીને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. મૃતક બાળકી છાયાબેન રાજુભાઇ મકવાણા પ્રાંતિજ ખાતે આવેલ ગુજરાતી શાળા નંબર-1 માં ધોરણ-6 માં અભ્યાસ કરતી હતી. પ્રાંતિજ પોલીસને જાણ થતાં અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો:પંચમહાલમાં બે સગા ભાઈનું વીજ કરંટ લાગતા થયું મોત
આ પણ વાંચો:રાજકોટમાં યુવતીનું વીજ કરંટ લાગતા કમકમાટીભર્યુ મોત, પરિવાર શોકના માતમમાં
આ પણ વાંચો:પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું
