Ahmedabad News : અમદાવાદના મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે પ્રજાજનો વચ્ચે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મકરસંક્રાંતિ પર્વની આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે સહભાગી થયા હતા.

મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને સરસ- રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી હતી. સોસાયટીની મહિલાઓ અને બાળાઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. આ પ્રસંગે ઢોલ નગારા અને સાંસ્કૃતિક નૃત્યો દ્વારા મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના સભ્યો અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીએ સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, ડેપ્યૂટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ બિપીન પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, શાંતિનિકેતન સોસાયટીના ચેરમેન કિરીટ પટેલ, થલતેજ વોર્ડના પૂર્વ પ્રમુખ ચંદુ પટેલ, સ્થાનિક આગેવાનો, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા AMCના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં CBI દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું ઉદઘાટન કર્યું
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરનું નામ હશે કશ્યપ? અમિત શાહે કરી મોટી જાહેરાત, જાણો તેનો રાજકીય અર્થ
આ પણ વાંચો: ‘ફિલાવિસ્ટા 2024’નો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરાવ્યો શુભારંભ
